જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કામગીરી ચાલુ છે. ત્યારે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડિસીપી ક્રાઈમ જગદિશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સતત બીજા દિવસે ફૂટ પેટ્રોલિંગ કરી અર્ધલશ્કરી દળોની સ્પેશીયલ ટાસ્ક ફોર્સને સાથે રાખી ફલેગમાર્ચ કરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ડીમોલેશન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ દ્વારા કેટલાક શખ્સોની અટકાયત પણ કરી પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યાં હતાં.
પોલીસના અશ્વદળ દ્વારા પોલીસ વાહન ન પહોચી શકે તેવા વિસ્તારમાં અશ્વદળની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. આજે બીજા દિવસે સવારથી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા વિનોદભાઈ શેઠ હોલ ખાતે ઉભા કરાયેલા કંટ્રોલરૂૂમ ખાતે ડીમોલીશન કામગીરીનું ડ્રોન દ્વારા નિરીક્ષણ કર્યું હતું. આજે બીજા દિવસે ડિમોલેશનની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. તે બાદ તે વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ કે કાંકરી ચાળો ન થાય તે માટે પોલીસ કમિશનર સહિત તમામ ડીસીપી, એસીપી સહિતનો મોટો પોલીસ કાફલો ડિમોલેટ તમામ વિસ્તારમાં ફરી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને તમામ વિસ્તારમાં સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી.
જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશનના બીજા દિવસે પોલીસ દ્વારા જંગલેશ્વર વિસ્તાર તરફ વળતા તમામ રસ્તા ઉપર બેરીકેટ યથાવત રાખી કેટલાક રસ્તા ડાયવર્ઝન કરવામાં આવ્યા હતા. ડિમોલિશન વિસ્તારના તમામ સ્થળે પોલીસનો મોટો કાફલો બીજા દિવસે પણ બંદોબસ્તમાં પણ ખડકાયો રહ્યો હતો અને જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલીશન સ્થળ આસપાસ લોકોની અવર-જવર ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેમ કે ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ કાટમાળ કે અન્ય કોઈ વસ્તુ સામાન્ય લોકોને નુકસાન ન પહોંચાડે તેની પણ તકેદારી લેવામાં આવી હતી.

