અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક એક વાડીમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટના બાવચંદ વાઘેલાની વાડીમાં બની હતી, જ્યાં દાહોદ જિલ્લાના વતની સાહિલ રાકેશભાઈ કટારા (ઉ.5) પર હુમલો થયો હતો. તુવેરની દાળમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળકને પકડીને શિકાર કરવા લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુમાબુમ થતાં દીપડાએ બાળકને છોડી દીધું હતું. ગંભીર ઇજાઓ થતાં બાળકને તાત્કાલિક ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
માનવ મૃત્યુની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂૂ કરી હતી. વનવિભાગ દ્વારા વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી અને લોકેશન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધારીના ગોપાલગ્રામ ગામે બાળકનું મૃત્યુ કરનાર દીપડો અંતે પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા 4 પાંજરા મુકવામાં આવ્યાં હતા. વન વિભાગને ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી છે. જેથી ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
ધારી ગીર પૂર્વ ડિવિઝનના ઇન્ચાર્જ એસીએફ પ્રતાપ ચાંદુએ જણાવ્યું હતું કે, તેમની ટીમને ઘટનાસ્થળેથી દીપડાના પગના નિશાન મળ્યા છે. તેમણે પુષ્ટિ કરી કે હુમલો દીપડા દ્વારા થયો છે.

