Site icon Gujarat Mirror

ભાવનગરમાં એક્ટિવા ન આપતા પાંચ શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદ ઉં. વ. 23 નામના યુવાનની નજીવી બાબતે નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ મામલે મૃતકના દાદાના દીકરા (ભાઈ) મોઈનભાઈ રસુલભાઈ સૈયદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ રાત્રિના સાડા બાર વાગ્યાના સમયે કાકા જાહીદભાઈના ઘરની નજીક હોબાળો થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં શેરીમાં રહેતા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા અને સાહિલ રસુલભાઈ શાહ સહિતના સાહીલ પર હુમલો કરતા જોવા મળ્યા હતા.

નદીમ અને સલીમ પાસે છરી, જ્યારે સાહિલ શાહ પાસે ધારિયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ગંભીર રીતે લોહીલુહાણ બનેલા સાહીલને પહેલા રિક્ષામાં અને બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી નદીમ દ્વારા એક્ટિવા માંગવામાં આવી હતી અને ઇનકાર કરતા આ ઝઘડો હત્યામાં ફેરવાયો હતો.

હત્યા ના આ બનાવ ની જાણ થતા બોરતળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા તથા સીદીક સલીમભાઈ સોરઠીયા વિરુદ્ધ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં છેલ્લા 14 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ છે.

Exit mobile version