Site icon Gujarat Mirror

પોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાત

આપઘાતનું કારણ અકબંધ: યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

પોરબંદરમાં મહારાજ બાગ રોડ ઉપર રહેતા ફાઇનાન્સરે સુદામા ચોકમાં આવેલી પોતાની ઓફિસમાં જ પોતાની જાતે હાથમાં બે ઝેરી ઇજેક્શન મારી જીવન ટૂંકાવી લીધું છે. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદરમાં મહારાજ બાગ રોડ પર આવેલ જુબેલી ગુરુકુળ સામે રહેતા ભરત વિજાભાઇ ઓડેદરા નામનો 40 વર્ષનો યુવાન ગત તા.2 ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં સુદામા ચોકમાં આવેલી પોતાની રામ લખન કો-ઓપરેટિવ બેન્કની ઓફિસે હતો ત્યારે પોતાની જાતે ખડ બાળવાની ઝેરી દવાના બે ઇન્જેક્શન હાથમાં મારી દીધા હતા.

યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે પોરબંદર ખાનગી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પોરબંદર પોલીસને જાણ કરતા પોરબંદર કીર્તિ મંદિર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ભરતભાઈ વડોદરા બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે. ભરતભાઈ ઓડેદરા સુદામા ચોકમાં રામ લખન કો ઓપરેટિવ બેંક ધરાવે હતો અને ફાઇનાન્સ નું કામ કરતો હતો. ભરત ઓડેદરાએ પોતાની જાતે એક હાથમાં બે ઝેરી દવાના ઇજેક્શન મારી દીધા બાદ મિત્રોને જાણ કરતા સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ જીવ બચ્યો ન હોવાનું જાણવા મળ્યું છે આ બનાવા અંગે પોરબંદર કીર્તિ મંદિર પોલીસે નોંધ કરી ફાઇનાન્સરના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Exit mobile version