Site icon Gujarat Mirror

અંતે રાજકોટ ભાજપનું સંગઠન જાહેર, તમામ હોદ્દેદારો બદલાયા

મહામંત્રી પદે વલ્લભ દુધાત્રા, લલિત વાડોલિયા, યોગેન્દ્રસિંહ જાડેજાની વરણઈ, કિશન ટીલવા બાબુ માટીયાને પ્રમોશન

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે દ્વારા શહેર સંગઠનના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી નિમણૂકોમાં જ્ઞાતિગત સમીકરણો અને વોર્ડ મુજબના પ્રતિનિધિત્વને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અને સંપૂર્ણપણે નો રિપીટ થિયેરી અપનાવાઈ છે. યુવા મોરચાના કિશન ટીલવા અને બક્ષીપંચ મોરચાના બાબુ માટીયાને પ્રમોશન અપાયા છે.

આ નવા માળખામાં કુલ 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રીઓ અને 8 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત મેહુલભાઈ ડી. નથવાણી, મહેશભાઈ પીપરીયા, અને દીપાબેન કાચા સહિતના 9 હોદ્દેદારોને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. જુના ત્રણેય મહામંત્રીઓને બદલીને વલ્લભભાઈ પી. દુધાગ્રા, લલિતભાઈ જે. વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જી. જાડેજાની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ સિવાય કિશનભાઈ જે. ટીલવા, ગેલાભાઈ બી. રબારી, સુનિલભાઈ કે. ગોહેલ, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન કે. ચૌહાણ, ચાંદનીબેન ડી. ગોંડલીયા, નિશાબેન એન. રાણપરા અને અરુણાબેન એચ. પરમારની મંત્રી તરીકે નિયુક્તિ થઈ છે.

જ્યારે યુવા મોરચાના પ્રમુખ તરીકે મિલન લીંબાસીયા, મહિલા મોરચાના પ્રમુખ તરીકે લીનાબેન આર. રાવલ, કિસાન મોરચાના પ્રમુખ તરીકે યોગેશભાઈ ભુવા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે બાબુભાઈ એમ માટીયાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા વિભાગમાં શ્યામ પી. ડાભી, આઈ.ટી. વિભાગમાં નિખિલેશ જે. રાઠોડ અને મીડિયા વિભાગમાં હાર્દિક એસ. બોરડને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નવી ટીમ આગામી સમયમાં ભાજપના શાસન અને સંગઠન વચ્ચે કડીરૂૂપ ભૂમિકા ભજવશે તેવું રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે. ડો. માધવ દવેએ આશા વ્યક્ત કરી છે કે આ નવી ટીમ રાજકોટમાં પક્ષની કામગીરીને વેગ આપશે.

Exit mobile version