ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પી પી જોશી, જેન્તીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ, હબીબભાઈ કટારીયાની સંયુક્ત યાદી જણાવે છે કે બસપોર્ટ થાળી ભાંગીને વાટકો કરતા અને બસ સ્ટેશનમાં બસો સમાતી ન હોય એસ.ટી અમારી મોતની સવારી બની છે. ત્રણ મુસાફરો માતેલા સાંઢ ની જેમ ફરતી એસ.ટી બસોમાં ચગદાયા છે.
મુસાફરો માટે લગાવવામાં આવેલી સેફ્ટીગાર્ડ (રેલિંગો) લગાવવામાં આવેલી રેલિંગો નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તમામ પ્લેટફોર્મ પર રેલિંગ માં ભાંગતુંટ જોવા મળી હતી. અને આ રેલીંગો મુસાફરો માટે સલામતને બદલે અસલામત બની અમુક પ્લેટફોર્મ પર રેલિંગ સાવ નમી ગઈ હોય મુસાફરો ગફલતમાં રહે તો લોહી લુહાણ થઈ જાય અથવા પડી જાય એ પ્રકારની રેલિંગો હોવા છતાં મરામત કરાઈ ન હતી. રાજકોટના સિનિયર ડેપો મેનેજર જી. એચ. ઠગની બેદરકારી અને લાપરવાહી ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા વખતો વખત ઉજાગર કરવામાં આવી છે.
ડેપો મેનેજરની નિષ્ક્રિયતા અને આંખ મિચામણા પગલે રાજકોટ એસ.ટી બસપોર્ટમાં આવતા હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને, રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ એસટીના એમ.ડીને, રાજકોટના નવનિયુક્ત વિભાગીય નિયામકને ફોટાઓ સાથે ભાંગી ગયેલી રેલિંગો અંગે લેખિત ફરિયાદ કરી ટેલિફોનિક વાતચીત કરતાની સાથે જ પ્લેટફોર્મ પરની તમામ રેલિંગોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે. અહીં સવાલ એ છે કે જ્યાં સુધી ઉચ્ચસ્તરીય રજૂઆત કરવામાં ન આવે ત્યાં સુધી નિંભર તંત્ર હરકતમાં આવતું નથી. તસવીરમાં તૂટી ગયેલી અને નમી ગયેલી કે જ્યાંથી મુસાફર નીકળી જ ન શકે એ રેલીંગો અને મરામત થઈ ગયા પછીની રેલિંગો દ્રષ્ટિગોચર થાય છે.

