સરકારી જમીન પર કાચા-પાકા બાંધકામો ખડકી અને દબાણ કરનાર સામે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા લાલ આંખ કરી ડિમોલીશનની કાર્યવાહી કરાઇ રહી છે ત્યારે રૈયા રોડ પર 20 જેટલા લોકોએ બાંધકામ ખડકી દેતા ખાલી કરવા માટે નોટીસ ફટકારવામાં આવી છે અને તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીક પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા ગામની યુએલસી ફાજલ પ્લોટ સર્વે નંબર 156 પૈકીની પાંચ હજારના ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આ વિસ્તારમાં અનઅધિકૃત રીતે ખડકાયેલા 20 જેટલા બાંધકામોને તોડી પાડવા માટે પશ્ચિમ મામલતદાર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.
પશ્ચિમ મામલતદાર કચેરીના સૂત્રોમાંથી માહિતી મળતી અનુસાર રૈયા સર્વે નંબર 156 પૈકીની પૈકીની આ જમીનમાં બે હજાર ચોરસ મીટર જમીન ઉપર લાંબા સમયથી 20થી વધુ પાકા મકાનો ઓરડિયો સહિતના બાંધકામો ગેરકાયદેસર રીતે ખડકાયા છે. જેને અન્વયે પશ્ચિમ મામલેદાર તંત્ર દ્વારા આ બાંધકામને તોડી પાડવા માટે નોટિસો ફટકારવામાં આવી છે અને નવા વર્ષમાં જ પશ્ચિમ મામલતદાર કચેરી દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
થોડો સમય પહેલા જ પશ્ચિમ મામલતદાર અજીત જોશી દ્વારા રૈયા રોડ સર્વે નંબર 156 પૈકી 5000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી જેમાં ગેરેજ ઓરડીયો સહિતના વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત પશ્ચિમ મામલતદાર દ્વારા ત્યાં આજુબાજુમાં રહેલા દબાણ અંગે નોટિસ આપતા જ રહેવાસીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

