Site icon Gujarat Mirror

ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે મારામારી

જામનગરમાં કાલાવડ રોડ પર આવેલી એક વડીલો પાર્જીત ખેતીની જમીનના ભાઈઓના ભાગ પાડવાના પ્રશ્ને સતવારા પરિવાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, અને મામલો કોર્ટમાં લઈ જવાયો છે. ત્યારે કોર્ટ કેસ પાછો ખેંચી લેવાના મામલે બે ભાઈઓ પર તેના જ ચાર પિતરાઈ ભાઈઓએ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં કાલાવડ રોડ પર રાધિકા સ્કૂલની સામેના ભાગમાં રહેતા અને ખેતી કામ કરતા હિંમતભાઈ દયાળજીભાઈ પરમાર નામના 42 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ અમૃતલાલ પરમાર ઉપર હુમલો કરી દઈ ઈજા પહોંચાડવા અંગે અને કોર્ટમાં કરેલો કેસ પાછો ખેંચી લેજો, નહીં તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપવા અંગે પોતાના જ પિતરાઈ ભાઈ અમૃતલાલ લાલજીભાઈ પરમાર, વિજય લાલજીભાઈ પરમાર, વિનોદ લાલજીભાઈ પરમાર, અને અનિલ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને તેના ભાઈ કે જેઓએ વડીલો પાર્જીત મિલકત ના ભાગ ના પ્રશ્ને જામનગરની અદાલતમાં પોતાના ભાઈઓ અમૃતલાલ પરમાર વગેરે સામે જે કેસ દાખલ કર્યો છે, અને હાલ આ પ્રકરણમાં કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આરોપીઓએ કેસ પાછો ખેંચી લેવાના મામલે આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ ચારેય આરોપીઓ ભાગી છુટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

Exit mobile version