જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અગાઉ ચાર આરોપીઓને ઝડપી લીધા બાદ આજે પાંચમા આરોપીની ધરપકડ કરી છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે 8,586 ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત બે કરોડ 80 લાખ થવા જાય છે. જે જમીન પચાવી પાડનારા 6 આરોપીઓ જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉંમરભાઈ ખફી, નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જે પ્રકરણની તપાસ ચલાવી રહેલા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા અને તેઓની ટીમે અગાઉ જગદીશ ગણેશભાઈ ચોવટીયા, રાજેશ કાંતિલાલ મારુ, અને યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને આમદ ઉમરભાઈ સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લઇ જેલ હવાલે કર્યા હતા. જે પ્રકરણમાં બાકી રહેલા નુરમહંમદ દાઉદ ચાવડા નામના પાંચમા આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેને અદાલતમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં છઠ્ઠા આરોપી મનસુખ રતિલાલ ભટ્ટી નું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

