Site icon Gujarat Mirror

રાજકોટમાં દીકરીના લગ્નમાં કરિયાવર-નાણાંની ચિંતામાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

oplus_2097152

મોટી દીકરીના 30 એપ્રિલના લગ્ન નિર્ધારેલ છે, સોના-ચાંદીના ભાવ વધતાં પિતા ચિંતામાં મૂકાયા

રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પ્રોઢે પોતાની વ્હાલસોયી દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક ભીંસ અને મોંઘવારીના કારણે ચિંતામાં આવી જઈ ઝેરી પ્રવાહી પી લેતા ચકચાર મચી ગઈ છે. મેટોડા જીઆઇડીસી પાસે આવેલા આશુતોષ પાવર હાઉસ નજીક રહેતા 45 વર્ષીય તુલસીભાઈ રાજાભાઈ વાઘેલાએ પોતાના ઘરે એસિડ પી લેતા તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા પણ આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, તુલસીભાઈ મૂળ માણાવદરના બાંટવા ગામના વતની છે અને હાલ મેટોડામાં રહી કંપનીમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. તુલસીભાઈની મોટી દીકરીના લગ્ન આગામી તા. 30/4 ના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા છે અને તેનું સગપણ ચોરવાડ મુકામે નક્કી કરવામાં આવ્યું છે. ઘરમાં લગ્નનો પ્રસંગ હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ હોવો જોઈએ, તેના બદલે આર્થિક સંકડામણે પિતાને ચિંતાના વમળમાં ધકેલી દીધા હતા.

તુલસીભાઈ છેલ્લા કેટલાક સમયથી દીકરીના લગ્ન માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે થશે તે બાબતે સતત મુંઝવણમાં રહેતા હતા. વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં જે રીતે અસહ્ય વધારો થઈ રહ્યો છે, તેને જોતા ’દીકરીને કરિયાવરમાં શું આપી શકીશ?’ અને ’લગ્નનો ખર્ચ કેવી રીતે પૂરો થશે?’ તેવા વિચારો તેમને સતત સતાવી રહ્યા હતા. આ માનસિક તણાવ સહન ન થતા આખરે પિતાએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

Exit mobile version