Site icon Gujarat Mirror

જંગ્લેશ્ર્વરના કૌટુંબિક ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોત

રૈયામાં નાનીમાંના ઘરે આટો મારવા ગયા હતા : એક ડૂબતા બીજો બચાવવા ગયો હતો : બન્નેના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો

રાજકોટ શહેરનાં જંગલેશ્ર્વરમા રહેતા મામા-ફઇનાં બે સગીર ભાઇઓ રૈયા ગામે રહેતા નાની માં નાં ઘરે આટો મારવા ગયા બાદ ત્યાથી મીત્રો સાથે તળાવમા નાહવા ગયા હતા . જયા નહાતી સમયે એક ભાઇ ડુબવા લાગતા બીજો તેમને બચાવવા તળાવમા પડયો હતો અને બંને પાણીમા ગરક થઇ ગયા હતા. જેમાં બે ડુબી જતાં બાકીના બે ડરીને ઘરે ગયા હતાં અને ઘટનાની જાણ કરી હતી. બંનેને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલમાં, ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સવિલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું.

વધુ વિગતો મુજબ શહેરના જંગલેશ્વર-24માં રહેતાં મહમદમુસ્તાક તાજમહમદ સૈયદ (ઉ.વ.13) અને અલ્તાફ દોસ્તમહમદ રાજા (ઉ.વ.15) કે જે મામા-ફઇના ભાઇઓ થતાં હોઇ ગઇકાલે બુધવારે રૈયામાં રહેતાં નાનીના ઘરે આટો મારવા ગયા હતાં. ત્યાંથી બીજા બે છે મિત્રો અબ્દુલ રજાકભાઇ (ઉ.વ.14) અને અબ્દુલ જહાનભાઇ (ઉ.વ.18) મળી એમ ચારેય રૈયાના તળાવે ગયા હતાં. ત્યાં ચારેય ન્હાતા હતાં ત્યારે મહમદમુસ્તાક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેને બચાવવા જતા અલ્તાફ પણ ડૂબી ગયો હતો.

આથી બાકીના બે ગભરાઇ ગયા હતાં અને ઘરે જઇ ઘટનાની જાણ કરી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે પહોંચી બંનેને બેભાન હાલતમાં બહાર કાઢયા હતાં. સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગીમાં લઇ જવાયા બાદ ફરી સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર મહમદ મુસ્તાક ધો.7માં અને અલ્તાફ ધો.9માં અભ્યાસ કરતો હતો. સાથે સાથે મદ્રેસામાં પણ ભણતા હતાં. મહમદમુસ્તાક ત્રણ ભાઇમાં મોટો હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. જ્યારે અલ્તાફ એક બહેનથી મોટો હતો. તેના પિતા મુંબઇ કામ કરે છે. બનાવથી પરિવારોમાં માતમ છવાઇ ગયો હતો.

Exit mobile version