Site icon Gujarat Mirror

જયરાજ આહિરની ધરપકડ બાદ પણ રવિવારે ભાવનગરમાં કોળી સમાજનું ન્યાય સંમેલન

જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજન, શહેરભરમાં 200 બેનરો લાગ્યા, સમાજના ધારાસભ્યો- સાંસદોને આમંત્રણ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં માયા આહીરના પુત્ર જયરાજ આહીર સામે ગુનો નોંધી ધરપકડ કરાયા બાદ પણ આ પ્રકરણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. જયરાજ આહીર સામેની કાર્યવાહી બાદ પણ સમસ્ત કોળી-ઠાકોર સમાજે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભા યોજવાની જાહેરાત કરી છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજીત આ-ન્યાય સભા માટે શહેરના અલગ અલગ 200 સ્થળે બેનર લગાવવામાં આવ્યા છે. કોળી સમાજના સાંસદ અને ધારાસભ્યોને પણ ન્યાય સભામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નવનીત બાલધિયાના સમર્થનમાં આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણીના મત વિસ્તારમાં જે કોળી સમાજ મતઠારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે તે વિસ્તારમાં કોળી સમાજ દ્વારા જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. સભા સ્થળ મંડપ નાખવાની કામગીરી ચાલી રહી છે. તદઉપરાંત શહેરમાં જે જે સ્થળોએ કોળી સમાજ વસવાટ કરી રહ્યો છે જેમાં હાદાનગર, મેપાનગર, સત્યનારાયણ સોસાયટી, બોરતળાવ મફતનગર, ગણેશ ગઢ, બાનુબેનની વાડી કુંભારવાડા, નારીગામ, ફુલસર, સતનામ ચોક, રામદેવનગર કુંભારવાડા સહિતના અનેક વિસ્તારોમાં 200 થી વધુ સમસ્ત કોળી – ઠાકોર સમાજ ન્યાય સભા આયોજિતના બેનરો લગાવામાં આવ્યા છે.

આ અંગે કોળી સમાજના યુવા આગેવાન હિરેન વાઘેલાએ જણાવ્યું હતું કે ન્યાય સભાનું આયોજન છે. જેના અનુસંધાને રોજ રાત્રિના ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં મીટીંગો કરી લોકોને આ ન્યાય સભામાં આવવા આહવાન કર્યું છે. અમારો એક જ ધ્યેય છે કે અમારા સમાજના નવનીત ભાઈ સાથે અન્યાય થયો છે એને ન્યાય મળે.જે સભામાં શહેર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં લોકો આવશે. આ ન્યાય સભામાં બધા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આમંત્રણ પાઠવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે આ બગદાણા પ્રકરણમાં પોલીસનો મુખ્ય રોલ છે, ડી.વી. ડાંગર, ઝાલા, પટેલ, સૌથી મોટી ભૂમિકા તો એમની જ છે એમની ઉપર પગલાં લેવાના છે.

નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં સીટની તપાસમાં જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની ગત (24 જાન્યુઆરી)ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેને મહુવા કોર્ટેમાં જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે જયરાજની જામીન અરજી નામંજુર કરી છે. માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો થયો. સીટની ટીમ જયરાજને લઈ ભાવનગર રવાના થઈ હતી.

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પર આક્ષેપ
કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આમાં ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીનો રોલ છે.શરૂૂઆતમાં માયાભાઇનો અને અમારા સમાજના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાનો ફોટો વાયરલ કર્યો હતો. ત્યારબાદ અમારા સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે એમનો ફોટો વાયરલ કર્યો હતો. આમ જીતુ વાઘાણીનું એક જ છે કે આ સમાજમાં ભાગલા પડવાની જે એની નીતિ છે. કોઈપણ અમારા સમાજ ઉપર અત્યાચાર કરશે ત્યારે અમે ભાજપ, કોંગ્રેસ, આપ મૂકીને અમે બધા એક જ છીએ એવું સાબિત કરી દેખાડીશું.

 

Exit mobile version