રાજકોટમાં સવારે ઠંડી બપોરે કાળઝાળ ગરમી રહેતા હાલ રોગચાળો વધવા પામ્યો છે. હોસ્પિટલોમાં પણ શરદી ઉઘરસ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા પ્રદીપભાઇ સોલંકીની દોઢ વર્ષની દીકરીને ઝાડા-ઉલ્ટી જતા ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયા તેમનુ સારવારમાં મોત નીપજ્યુ હતું.
વધુ વિગતો મુજબ મવડીના શ્રીનાથજી સોસાયટીમાં રહેતા પ્રદીપભાઇ સોલંકીની દોઢ વર્ષની દીકરી પૂજાને છેલ્લા બે દિવસથી ઝાડા-ઉલ્ટી થયા હોય તેમને શરીરમાં પાણી ઘટી જતા ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જયા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. મૃતક પૂજા બે બહેન એક ભાઇમાં નાની હતી અને તેમના પિતા પ્રદીપભાઇ ફૂટની લારી ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.

