Site icon Gujarat Mirror

જામનગરમાં ઇજનેરે શેરબજારમાં વધુ નફો મેળવવાની સોશિયલ મીડિયાની જાહેરાતમાં 25.86 લાખ ગુમાવ્યા

જામનગર શહેરમાં સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને શેરબજારમાં વધારે નફો અપાવવાની લાલચ આપી એક ઈજનેર યુવાન પાસેથી રૂૂપિયા 25,86,000 ની રકમ છેતરપિંડીથી લઈ લેવાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગે જામનગરમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ મહેશભાઈ તિર્થાણી દ્વારા સાયબર સેલ પોલીસ મથક, જામનગર ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ તા. 28/04/2024 થી તા. 20/07/2024 દરમ્યાન બન્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. અને એક મહિલા સહિત નવ આરોગ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. તમામ આરોપીઓએ ‘ઇન્સ્ટાગ્રામ’ પર (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના સહારે આકર્ષક જાહેરાતો મૂકી શેરબજારમાં રોકાણ કરીને ભારે નફો કમાવવાની લાલચ આપી હતી. આ જાહેરાત દ્વારા ફરિયાદીનો સંપર્ક ‘મીરા’ નામની મહિલાથી થયો, જેણે પોતાને એક નોંધાયેલ રોકાણ સંસ્થાની પ્રતિનિધિ તરીકે ઓળખાવી વિશ્વાસ જીત્યો હતો.

ત્યારબાદ ‘જેમ્સ’ નામનો વ્યક્તિ પોતાને ગ્રાહક સેવા સંચાલક તરીકે ઓળખાવી વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાની વિગતો મોકલી ફરિયાદી પાસેથી તબક્કાવાર રકમ ટ્રાન્સફર કરાવતો રહ્યો. ફરિયાદી પાસેથી કુલ રૂૂપિયા 25,86,000 અલગ અલગ બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા. બાદમાં આ રકમ પરત આપવામાં આવી નહોતી.

આરોપીઓએ ખોટી ઓળખ આપી, મળતાવળથી અગાઉથી કાવતરું રચી અને વિશ્વાસઘાત કરીને ઓનલાઈન માધ્યમથી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સાયબર સેલ પોલીસ દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમ્યાન અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જામનગર સાયબલ સેલના પી.આઈ. આઈ. એ. ધાસુરા અને તેઓની ટીમ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

Exit mobile version