જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વરમાં એકલવાયુ જીવન જીવતાં વૃધ્ધે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે કાગળો કર્યા હતાં. મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર નાગેશ્ર્વર પાસે નેમીનાથ એપાર્ટમેન્ટ એ-304 નંબરના એપાર્ટમેન્ટમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતાં અરવિંદભાઈ બચુભાઈ (ઉ.62) નામના વૃધ્ધ પોતાના ઘરે હતા ત્યારે ગળેફાંસો ખાઈ લેતાં તેમને 108 ટીએમટીનાં કેતનભાઈ બાબરીયાએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં.
તેમજ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઈ પી.બી.પટેલ અને સ્ટાફ ત્યાં પહોંચી જઈ કાગળોની કાર્યવાહી કરી હતી. અરવિંદભાઈને સંતાનમાં બે પુત્ર હતાં જે ઘર નજીક રહેતાં હતાં. ગઈકાલે રાત્રિના સમયે દિકરાના ઘરેથી જમવા માટે કોઈએ અરવિંદભાઈને કોલ કર્યો ત્યારે કોલ ન ઉપાડતાં આજુબાજુના લોકો અને પુત્રના ઘરેથી અરવિંદભાઈના ફલેટે જોવા જતાં અરવિંદભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતાં. તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

