જામનગર- રાજકોટ હાઇવે રોડ ફરીથી રક્ત રંજીત બન્યો છે, અને જુદા જુદા બનાવમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલા સહિત બે વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જે અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
અકસ્માત નો પ્રથમ બનાવ જામનગર રાજકોટ હાઇવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ધ્રોલ તાલુકાના દેડકદડના રહેવાસી રંભીબેન માધાભાઈ સાડમિયા નામના 70 વર્ષ ના બુઝુર્ગ મહિલા, કે જેઓ એક દુકાનેથી ઘર વખરી નો સામાન ખરીદ કરીને પોતાના ઘેર પરત જવા માટે મોડપર ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ જી.જે.-3 પીડી 8567 નંબરની ફોરવહીલના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર ઇજા થવાના કારણે તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ધીરુભાઈ માધાભાઈએ કારના ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ હ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગર – લાલપુર ધોરી માર્ગ પર ધરમપુર ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા પોરબંદર પંથકના વતની દેશુરભાઈ જીવાભાઇ મોરી (50) ને કોઈ અજાણ્યા ફોરવ્હીલ ના ચાલકે અડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે. મૃતકના પત્ની રંભીબેન દેશુરભાઈ મોરીએ લાલપુર પોલીસ મથકનો સંપર્ક સાધી, ફરિયાદ નોંધાવતાં ધ્રોળના પીએસઆઇ કે. એલ. ગલચરે મૃતદેહનો કબજો સંભાળી આ અકસ્માતમાં વધુ તપાસ હાથ કરી છે.
