Site icon Gujarat Mirror

તારે રૂપિયા આપવાના છે કે નહીં ? નહીંતર તને ઉપાડી લઇશ: સરકારી કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી

2.80 લાખ સામે 18.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાંની માંગણી કરી ટ્રેક્ટર પડાવી લીધું

શહેરના અમીન માર્ગ પર પિરામીડ ટાવર પાસે રહેતા 54 વર્ષીય મોહનભાઈ ધરમશીભાઈ હાપલીયાએ રેલનગર વિસ્તારમાં રહેતા પ્રતિપાલસિંહ સજુભા ગોહીલ નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમો જેવી કે 308(5), 352, 351(3), 115(2) તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 5, 40 અને 42 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી મોહનભાઈના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં તેઓ રેલનગર વિસ્તારમાં રોડ સાઈડના ફુલ-છોડને પાણી પીવડાવવાનું કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા ત્યારે પાનનો ગલ્લો ધરાવતા પ્રતિપાલસિંહ ગોહીલ સાથે તેમનો પરિચય થયો હતો.

એપ્રિલ 2023માં મજૂરોના પગાર ચૂકવવા માટે નાણાંની જરૂૂર પડતા તેમણે પ્રતિપાલસિંહ પાસેથી કટકે-કટકે કુલ 2.80 લાખ રૂૂપિયા 3 ટકા માસિક વ્યાજે લીધા હતા. શરૂૂઆતમાં વ્યાજ સમયસર ચૂકવ્યા બાદ નવેમ્બર 2023માં આરોપીએ ડરાવી-ધમકાવીને વ્યાજનો દર વધારી દીધો હતો અને દર મહિને 50,000 રૂૂપિયા વ્યાજની ઉઘરાણી શરૂૂ કરી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફરિયાદીએ અત્યાર સુધીમાં કુલ 18.50 લાખ રૂૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં આરોપીની ભૂખ સંતોષાઈ નહોતી. ડિસેમ્બર 2025માં જ્યારે વ્યાજનો એક હપ્તો મોડો થયો, ત્યારે આરોપીએ કોઠારીયા રોડ પર આવેલી સાઈટ પર જઈ મોહનભાઈનું ટ્રેક્ટર બળજબરીથી પડાવી લીધું હતું. આટલું જ નહીં, આરોપીએ અમીન માર્ગ પર ફરિયાદી સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જો વધુ રૂૂપિયા નહીં આપે તો તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વ્યાજખોરના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે મોહનભાઈએ 21 ફેબ્રુઆરી 2026ના રોજ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપી હતી.

આ અરજીના આધારે તપાસ કર્યા બાદ 31 માર્ચ 2026ના રોજ માલવીયાનગર પોલીસે વિધિવત ગુનો નોંધી આરોપી પ્રતિપાલસિંહ ગોહીલ સામે તપાસ શરૂૂ કરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખીમાણંદભાઇ દેવાયતભાઈ મારુ ચલાવી રહ્યા છે. ફરિયાદી પાસે આ સમગ્ર મામલે ફોન રેકોર્ડિંગ હોવાના પણ પુરાવા છે, જે પોલીસને સોંપવામાં આવશે.

Exit mobile version