Site icon Gujarat Mirror

પોપટપરાના કુખ્યાત અજય પરસોંડાના મકાનનું ડિમોલિશન

શહેરમાં લીસ્ટેડ ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો ઉપર પોલીસ મહાનગરપાલિકાને સાથે રાખી ડિમોલીશ કરી રહી છે ત્યારે શહેરના રેલનગર પોપટપરામાં રહેતા કુખ્યાત શખ્સ અજય પરસોંડાના ગેરકાયદેસર મકાનનું ડિમોલીશન કરવા પ્ર.નગર પોલીસ, ક્રાઈમ બ્રાંચ અને પીજીવીસીએલ તથા મહાનગરપાલિકાની ટીમ તૈનાત થઈ છે. ચોરી, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સના ઘરનું ડિમોલીશન શરૂ કરાયો છે.

મુળ ચોટીલાના વતની અને હાલ રેલનગર પોપટપરા શેરી નં.14માં રહેતા અજય માનસિંગભાઈ પરસોંડા સામે દારૂ તેમજ ચીલઝડપ, અપહરણ, રોયોટીંગ સહિતના ગુના નોંધાયેલા હોય અને તે ઘણા લખતથી ફરાર હોય તેને ઝોન-2 નાસ્તા ફરતાં આરોપીઓને પકડી પાડવા બનાવેલી સ્કવોર્ડે ઝડપી લીધો હતો. અજયના ગેરકાયદેસર મિલકતો અંગેની માહિતી મેળવ્યા બાદ આજે તેના ગેરકાયદેસર મિલકતનું ડિમોલીશન કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ક્રિષ્ના પાર્ક સામે પોપટપરા-14, કાજલ પાનની પાછળ રહેતાં અજય પરસોંડાએ પોતાના ગેરકાયદેસર ગુનાઓ થકી મિલકતો ઉભી કરી હોય તે અંગે માહિતી મેળવ્યા બાદ આજે પ્ર.નગરના પીઆઈ વી.વી.વસાવા સાથે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એમ.કે.મોવલીયા અને તેમની ટીમ પોપટપરા પહોંચી છે. પીજીવીસીએલ અને મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી અજયના ગેરકાયદેસર મકાનનું ડિમોલીશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડાની સુચના બાદ શહેર પોલીસે આવા લીસ્ટેડ ગુનેગારોની મિલકતોનું ડિમોલીશન કર્યું છે.

Exit mobile version