Site icon Gujarat Mirror

નાનીવાવડીમાં 80 તોલા સોનાની ચોરી કરનાર સાત નારી ગેંગના સૂત્રધારની પુત્રીની અટકાયત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં આજથી 4 મહિના પહેલા એક ખેડૂતના મકાનમાંથી 80 તોલા સોનું અને દોઢ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી, જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે જે વખતે બે આરોપીઓને ઝડપી લીધા હતા.

પરંતુ તેમાં ત્રીજા આરોપી તરીકે ધ્રોલ તાલુકાના લતીપર ગામની રહેવાસી રમાબેન ઉર્ફે રામીબેન રાજુભાઈ વાઘેલા દેવીપુજક (40) કે જેની પણ સંડોવણી હતી, અને તે મહિલા આરોપી છેલ્લા ચાર મહિનાથી ફરાર રહેતી હતી.

દરમિયાન ઉપરોક્ત આરોપી મહિલા કાલાવડ બસ સ્ટેશન પર આવી છે, તેવી માહિતીના આધારે કાલાવડ ના પીઆઇ પી.જી. પરનારા તેમજ સ્ટાફના ધાનાભાઈ મોરી, જીતેનભાઈ પાગડાર, કૃપાલસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, હાર્દિકપરી ગોસાઈ, રવિરાજસિંહ જાડેજા, શીતલબેન ઝાપડા વગેરે વોચ ગોઠવીને આરોપી મહિલાની અટકાયત કરી લીધી છે, જેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં સાતનારી ગેંગ સામે અનેક ગુન્હા નોંધાયા છે, જેના મુખ્ય આરોપી વલ્લભ મનજી દેવીપુજક કે જે હાલ જેલવાસ ભોગવી રહયો છે. તેના પિતા મનજી ચકુ જે પણ ચોરી ચપાટી સહિતની ગેર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા, અને પુત્ર વલ્લભ મનજી અને ત્યારબાદ તેની પુત્રી રમાબેન કે જે ત્રીજી પેઢી પણ આવા ગોરખધંધામાં સંડોવાયેલી છે, જેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.

પોતે અન્ય આરોપી સાથે ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગ્રામ્ય વિસ્તારમાં આંટા મારીને રેકી કરી લેતી, અને ખુલ્લુ મકાન અથવા બપોરના સમયમાં બંધ રહેતા મકાનને નિશાન બનાવી લઈ ચોરી કરતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

Exit mobile version