Site icon Gujarat Mirror

દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભીડ

નાગેશ્વર મંદિર ખાતે 85 ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન

વિશ્વવિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની નજીક આવેલા અને ભારતના બાર જ્યોતિર્લિંગમાંના એક એવા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં દરરોજ મોટી સંખ્યામાં શિવ ભક્તો સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર ભગવાનના દર્શન કરવા આવે છે.

સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર, પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર, વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર એમ ભારતમાં આ બાર જ્યોતિર્લિંગ આવેલા છે. જેમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિરાજમાન છે.

આ પૌરાણિક મંદિરની સ્થાપના વિશે વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આ મંદિરની સ્થાપના વિશેની કથા એવી છે કે ભૂતકાળમાં અહીં સમુદ્રકાંઠે આવેલા વનમાં દારૂૂક નામના રાક્ષસ અને દારૂૂકા નામની રાક્ષસીનો આતંક હતો. દારૂૂકાના આતંકથી પૂજાને બચાવવા શિવભક્તે અહીં સરોવર કિનારે માટીનું શિવલિંગ બનાવીને ભગવાન શિવજીની આરાધના કરી. કઠોર તપશ્ચર્યાથી ભગવાન શિવ પ્રસન્ન થતાં નાગેશે દારૂૂક અને દારૂૂકાનું પતન કરવાનું વરદાન માગ્યું. શિવભક્તિથી આ રાક્ષસી દંપતિનો નાશ થયો.

ભગવાન શિવ અને દેવી પાર્વતીએ અહીં શિવલિંગ જ્યોતિર્લીંગ તરીકે પૂજાશે, તેવું વરદાન આપ્યું. ભક્ત નાગેશની તપશ્ચર્યાથી પ્રગટ થયેલા શિવલિંગના કારણે આ સ્થળ નાગેશ્વર તરીકે પ્રચલિત થયું. મથુરાથી મથુરાના પ્રજાજનોના વિકાસઅર્થે યુદ્ધના વાતાવરણ માંથી વિકાસના માર્ગે વાળવાના હેતુથી દ્વારકા વસાવનાર ભગવાન શ્રીકૃષ્ણે અનાદિકાળથી રહેલા નાગેશ્વર મહાદેવની પૂજા અભિષેક કરીને શિવજી પાસેથી પશુપતાસ્ત્ર મેળવ્યું હતું અને સમુદ્રક્ષેત્રના શંખ, કુશ, દારૂૂકા વગેરે રાક્ષસોના દળ-બળનો નાશ કર્યો હતો અને મનુષ્યના વસવાટ માટે આ ક્ષેત્રને નિર્ભય બનાવ્યું હતું તેવી માન્યતા પણ છે અને તેને શ્રીમદ્ ભાગવત વગેરે પુરાણો-ગ્રંથોનું સમર્થન મળે છે.

નજીકમાં જીલકા નદી, ભીમગજા સરોવર અને મંદિરને અડીને જ આવેલા કમળ સરોવરમાં કમળો ઉગે છે. આ ભવ્ય તીર્થધામના દર્શન કરવા એ લ્હાવો છે. તેમાં પણ શિવરાત્રિના દિવસે તો અહીં ભક્તિ મેળાનું દ્રશ્ય ખડું થતું હોય છે.

દ્વારકાથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને સ્વ. ગુલશનકુમારના ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂૂ. 5 કરોડના ખર્ચે ભવ્ય મંદિર સંકુલ અને આ પરિસરમાં 85 ફૂટ ઊંચી શિવપ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભક્ત સમૂદાય ઉપરાંત પર્યટકો અને પ્રવાસીઓ પણ શિવપ્રતિમા નિહાળવા અવશ્ય જતા હોય છે. લગભગ બારે માસ પ્રવાસીઓથી ધમધમતું નાગેશ્વર મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે ભક્તિ મેળાથી ઊમટતા માનવ મહેરામણથી છલકાઇ જાય છે.

રાજ્ય સરકાર દ્વારા સામાજીક વનીકરણ યોજના હેઠળ વર્ષ 2013-14 માં નાગેશ્વર ખાતે રાજયકક્ષાના 64 મા વન મહોત્સવની ઉજવણી માટે 10 મા સાંસ્કૃતિક વન નાગેશવનનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં પૂજા અર્ચના કરી ભક્તજનો પુણ્યનું ભાથું બાંધે છે.

Exit mobile version