Site icon Gujarat Mirror

ભગવતીપરામાંથી પકડાયેલુ માંસ ગૌમાંસ હોવાનું ખુલતા ગુનો નોંધાયો

શહેરના ભગવતીપરામાં ગૌમાંસનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે 25 દિવસ પહેલા દરોડો પાડી માંસનો જથ્થો કબજે કરી પૃથ્થકરણ અર્થે લેબારેટરીમાં મોકલ્યો હતો. જેના રિપોર્ટમાં આ માંસ ગૌમાંસ હોવાનું ખુલતાં પોલીસે આરોપી વિરૂધ્ધ પશુઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ગત તા.19-11નાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ભગવતીપરામાં આવેલી ઓરડીમાં ગૌમાંસનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં આરોપી રફીક ગફારભાઈ કટારીયા હાજર મળી આવ્યો ન હતો. ઓરડીમાં માંસના ટુંકડા પડયા હોય જેથી પોલીસે માંસના ત્રણ અલગ અલગ સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતાં. દરમિયાન ગત તા.25/11ના એફએસએલનો રિપોર્ટ આવતાં તેમાં એક સેમ્પલ ગૌમાંસ હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે આ અંગે આરોપી રફીક ગફારભાઈ કટારીયા વિરૂધ્ધ પશુઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ કે.વી.ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

Exit mobile version