Site icon Gujarat Mirror

જામનગર મનપા સંચાલિત ઢોર ડબ્બામાંથી ગાય ગુમ થઈ, સીસીટીવી કેમેરા બંધ

જામનગર શહેરમાં રખડતા પશુઓને પકડવામાં અને પકડાયા પછી પણ છોડી મુકવામાં આર્થિક વિહવટ ચાલતો હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દ્વારા કરાયો છે. એક પશુપાલક પોતાની પકડાયેલી 3 ગાયો છોડાવવા જતાં ડબ્બામાં તેની બે જ ગાયો જોવા મળી અને ત્રીજીની માહિતી ખુદ કર્મચારીઓ પાસે પણ ન હોવાનું અને સી.સી.ટી.વી. કેમેરા પણ દસ દિવસથી બંધ હોવાનું સામે આવતાં પશુપાલક અને સાથે આવેલા મહિલા કોંગી કોર્પોરેટરએ વીડીયો બનાવીને વાયરલ કર્યો હતો.

જેમાં મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ચાલતા રગડ-ધગડ વહિવટ અને પશુ પકડવામાં તેમજ અધવચ્ચે છોડી મુકવામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે. નવાગામ ઘેડમાં રહેતા નાવિક ચાવડા નામના યુવકની ત્રણ ગાયો કોર્પોરેશનની પશુ પકડવાની ટિમ વગેરે પકડી ગયા હતા. તેથી તેણે તંત્ર પાસેથી વિગતો મેળવીને ગાયને જ્યાં રાખી હતી. તે રણજીતસાગર ડેમ નજીકના કોર્પોરેશનના ડબ્બા ખાતે ગયો હતો. જ્યાં તે ગાય દીઠ દંડની રકમ આપવા માંગતો હતો.

પરંતુ પકડાયેલી 3માંથી બે જ ગયો જોવા મળતાં તેણે પોતાના વિસ્તારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને જાણ કરી હતી. તેમજ તેઓને પણ વાસ્તવિક્તા દેખાડવા બોલાવ્યા હતા. જ્યાં માલધારી યુવક અને તેની સાથેના તમામે તપાસ કરતાં ત્રીજી ગાય મળી આવી ન હતી. તેથી તેઓએ સ્ટાફને સવાલ કર્યો હતો કે, ઉંચી વંડીવાળી જગ્યા છે અને બે દરવાજે તાળા છે. તો ગાય ગઈ ક્યાં, પરંતુ આ પશ્નનો જવાબ સ્ટાફ આપી શક્યો ન હતો.

તેથી યુવકો અને મહીલા કોર્પોરેટરએ સીસી કેમેરાના ફુટેજ માંગતા સ્ટાફે 10 દિવસથી કેમેરા બંધ હોવાનું જાણવા મળતાં તે સ્થળ નો વિડીયો બનાવ્યો હતો. જેમાં પશુપાલક યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ઢોરના ડબ્બા સુધી પશુઓ પહોંચે ત્યાર પહેલા પશુ પકડ પાર્ટીવાળા વહિવટ કરીને ગાયોને અધવચ્ચે છોડી મુકે છે. ઉપરાંત ઢોરના ડબ્બે આવેલી ગાયોમાંથી અમુકને પાછલે બારણેથી જવા દેવામાં આવે છે. આ ગાય ક્યાં જાય છે ? કે કોણ લઈ જાય છે ? તે તપાસનો વિષય છે. આ મામલે તા.27ના રોજ આવેદન આપવામાં આવશે. તેમ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જણાવ્યું છે.

Exit mobile version