Site icon Gujarat Mirror

બોગસ ડિગ્રી કૌભાંડમાં આરોપી પિતા-પુત્રને નિર્દોષ મુક્ત કરતી અદાલત

રાજકોટના બહુચર્ચીત ચકચારી બોગસ ડિગ્રી કૌભાંડના આરોપીઓ પિતાપુત્રનો નિર્દોષ છુટકારો રાજકોટની અદાલતે ફરમાવેલ હતો. આ કેસની હકીકત મુજબ આરોપીઓ પુષ્કરભાઈ પ્રતાપરાય ઉપાધ્યાય અને ભ્રીગુ પુષ્કરભાઈ ઉપાધ્યાય બંને એ રાજકોટમાં આવેલ ગોડલ રોડ પર જે.પી. ઈન્ડસ્ટ્રીઝ નામની ઓફીસમાં ડ્રીમ્સ એજયુકેશનના નામે બોગસ માર્કશીટ અને બોગસ ડીગ્રીઓ બનાવવાનો ગેરકાયદેસરનો વ્યવસાય કરતા હોવાની બાતમી આધારે આધારે એ. ડીવીઝન પોલીસે આરોપીઓ વિરૂૂધ્ધ ઈ.પી.કો.ની કલમ 406, 420,464,465, 467,468, 471 તથા 120 બી મુજબનો ગુન્હો નોંધી અને આરોપીઓની ધરપકડ કરેલ અને ત્યારબાદ આરોપીઓના રીમાન્ડ પુર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

તપાસ દરમ્યાન એવી હકીકતો સામે આવેલી કે આ કામના આરોપીઓ પિતા-પુત્ર એ છેલ્લા બે વર્ષ દરમ્યાન સરકારી ફરજમાં લેવાતી અને અન્ય ક્ષેત્રમાં કાર્ય કરવા વપરાતી ધોરણ 10, ધોરણ 12, તથા ગ્રેજયુએટ, ફાર્મસી, તબીબી ક્ષેત્રની તમામ ડિગ્રીઓ, ડિપ્લોમાંની ડીગ્રીઓ, માર્કશીટ, એલ.એલ.બી., એલ.એલ.એમ., પી.એચ.ડી., બી.એસ.સી., એમ.એસ.સી., નર્સીગ, એમ.સી.એ., એમ.બી.એ., એન્જીનીયરીંગની ડિગ્રીઓ, અસંખ્ય બેકાર તેમજ શિક્ષીત અને અભણ વ્યકિતઓને વિશ્વાસમાં લઈ અને પોતાના આર્થિક ફાયદા માટે નાણા મેળવી અને વિશ્વાસઘાત કરેલ.હતો. અને આ મુજબની તપાસમાં ખુલેલ ટોટલ 122 જેવી અલગ અલગ ડિગ્રીઓ તથા માર્કશીટ ગેરકાયદેસર રીતે બનાવી અને ભોગ બનનાર લોકોને ફાળવેલ હતી.

ત્યારબાદ આ કેસ આગળ ચાલતા આ કામના આરોપીઓના વકીલશ્રી અશ્વીનભાઈ ગોસાઈ તથા મોહિત વી.ઠાકર ધ્વાર આ કામના તમામ સાહેદો, પંચો સાક્ષીઓ તથા પોલીસ અધિકારીઓની ઉલટ તપાસ કરવામાં આવેલ હતી. આ કેસ અંદાજે 9 વર્ષ સુધી ચાલેલ હતો અને ફરીયાદી તથા આરોપી પક્ષે અનેક પ્રકારની દલીલો થયેલ હતી.જેને દયાને લઇને કોર્ટ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં આરોપી પિતા પુત્ર વતી રાજકોટના એડવોકેટ શ્રી પિયુષભાઈ શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નિવિદ પારેખ, નિતેશ કથીરીયા, મોહિત વી. ઠાકર, કશ્યપ ઠાકર, ઘનશ્યામ વાંક, રવિ મૂલીયા, રાજુ ગોસ્વામી, બીનાબેન પટેલ વિગેરે રોકાયેલ હતા.

Exit mobile version