Site icon Gujarat Mirror

શાળામાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધની વિચારણા

સુરતમાં મોબાઇલ માટે છાત્રાના આપઘાત બાદ શિક્ષણમંત્રીનો નિર્દેશ

મોબાઈલનું વળગણ નાની ઉંમરના બાળકોને વધતું જાય છે અને તેના પરીણામો ચોંકાવનારા આવી રહ્યા છે. રાજ્યમાં એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે, જેના કારણે બાળકોને મોબાઈલ આપવો કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ તમામ વચ્ચે આજે રવિવારે સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં માતાએ મોબાઇલ ફોન આપવાનો ઈન્કાર કરતા નારાજ થઈને ધોરણ આઠમાં અભ્યાસ કરતી પુત્રીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

આ ઘટનાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે શાળામાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ તેવી વાત કરી હતી અને તે અંગે તજજ્ઞો, વાલીઓ સહિતના લોકો સાથે વિચારણા કરાશે તેમ જણાવ્યું છે.

તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, નાના બાળકોને મોબાઈલની આદત પડી ગઈ છે, મા-બાપ મોબાઈલ આપી પોતાનું કામ કરે છે તે રેડ સિગ્નલ સમાન છે. આ એક સામુહિક ચિંતનનો વિષય છે. વાલીઓને વિનંતી કરું છું, નાના બાળકોને નાની ઉંમરમાં સ્માર્ટ અને મોંઘો ફોન ન આપવો જોઈએ. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી છે. શાળામાં મોબાઇલ પ્રતિબંધ અંગે નિર્ણય લેવા પ્રયાસ કરાયો છે.

બાળકને મોબાઈલની લતમાંથી મુક્ત કરવા માટે એ જરૂૂરી છે કે તેમને અભ્યાસ ઉપરાંત નવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ કરો. જેમ કે ચિત્ર, સંગીત, નૃત્ય, કે તેમને ગમતી કોઈ પ્રવૃત્તિ. જો તમે ઇચ્છો તો, તમે આ માટે એક વર્ગ ગોઠવી શકો છો અથવા તેની સાથે જાતે કંઈક સર્જનાત્મક કરી શકો છો.

Exit mobile version