થાનના અમરાપર ગામે આવેલ ધાર્મીક આશ્રામ અને ગૌશાળાના લાભાર્થે ઈનામી લક્કી ભેટ યોજનાની ટીકીટ બહાર પડાઈ હતી. ગત તા. 15મીના રોજ ડ્રો ન થતા થયેલ બબાલ બાબતે અંતે તા. 17મીના રોજ રાત્રે થાન પોલીસ મથકે આશ્રમના મહંત અને 6 આયોજકો સામે ગુનો દાખલ થયો છે. જેમાં અંદાજે 62 હજારથી વધુ ટીકીટો વેચી લોકોની મહેનતની કમાણીના રૂૂ. 3 કરોડથી વધુ રકમ ઉઘરાવી લઈને છેતરપિંડી આચરાઈ હોવાનું જણાવી પોલીસ ખુદ ફરિયાદી બની છે.
થાન તાલુકાના અમરા5રમાં આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રામના લાભાર્થે મહંત રામદાસબાપુ દ્વારા ઈનામી લક્કી ભેટ યોજના બહાર પડાઈ હતી. જેમાં આયોજક તરીકે નાના માત્રાના હીરાભાઈ ગ્રામભડીયા, કાનપરના લગધીરભાઈ કારેલીયા, નવાગામના સુરેશભાઈ ઝરવરીયા, ચીત્રાખડાના મેરાભાઈ ડાભી, વીજળીયાના નરશીભાઈ સોલંકી, અભેપરના રમેશભાઈ ઝેઝરીયા હતા. તરણેતર અને આસપાસના ગામોમાં મોટાપાયે આ ટીકીટનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. રૂૂપીયા 499ની કિંમતની આ ટીકીટમાં પ્રથમ ઈનામ 51 લાખ રોકડા ઉપરાંત સ્કોર્પીયો, થાર, બોલેરો, ટાટા નેકશન, ટાટા પંચ જેવી કાર પેટે રોકડ ઈનામો હતા. અંદાજે 1 લાખથી વધુ ટીકીટો વાંકાનેરના આશીર્વાદ પ્રીન્ટીંગ પ્રેસમાં છપાવાઈ હતી. જેમાંથી સ્ટોલ ઉભા કરીને 62 હજારથી વધુ ટીકીટ વેચી લોકોની મહેનતની કમાણીના રૂૂપીયા 3.09 કરોડથી વધુની રકમ એકઠી કરાઈ હતી. ત્યારબાદ તા. 15ના રોજ તરણેતર મેળાના મેદાનમાં ડ્રો યોજવા મંજુરી માંગતા ન મળવા છતાં ડ્રોનું આયોજન કરાયુ હતુ.
પરંતુ ડ્રો ન થતા લોકો વીફર્યા હતા અને મહંત તથા આયોજકોને આડેહાથ લેતા પોલીસ દોડી ગઈ હતી. આ બનાવમાં ડીવાયએસપી વિશાલ રબારીના માર્ગદર્શનથી થાન પોલીસે તપાસ કરી હતી અને અંતે તા. 17મીના રોજ રાત્રે થાન પોલીસ મથકે મહંત સહિત 7 સામે ગુનો દાખલ કરાયો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ ટી. બી. હીરાણી ચલાવી રહ્યા છે. તરણેતર ડ્રોમાં ભોગ બનનાર લોકોએ ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાને આ અંગે રજૂઆત કરી હતી. જેમાં શનિવારે મોડી સાંજે નાયબ કલેકટરે લોટરીઝ રેગ્યુલેશન એકટ 1998, ધ પ્રાઈઝ ચીટસ એન્ડ મની સરકયુલેશન સ્કીમ પર પ્રતીબંધ 1978 મુજબની જોગવાઈઓનો ભંગ કરવા બદલ 6 આરોપીઓના ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યા હતા. અને આરોપીઓને પકડી નાયબ કલેકટરની કોર્ટમાં હાજર થવા થાન પીઆઈને ફરમાન જારી કરાયુ છે.

