જામનગર ની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ના એક પ્રોફેસર-કમ-ડોક્ટર સામે જાતિય સતામણી અંગે ની ફરિયાદ ઉઠવા પામી હતી. જેની જાતિય સતામણી કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ પણ પ્રકાર ની ફરિયાદ મળવા પામી ન હતી. આ બાબત નો ઉપરી અધિકારી ને અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે.
જામનગર ની મેડિકલ કોલેજ અને સંલગ્ન જી.જી. હોસ્પિટલ માં સેવા આપતા એનેસ્થેશિયા વિભાગ ના ડો. દિપક રાવલ સામે જાતિય સતામણી અંગે ની ફરિયાદો ઊઠવા પામી હતી. આથી જાતિય સતામણી અંગે ની સમિતિ ને આ બાબત ની તપાસ કરવા ની સૂચના મેડિકલ કોલેજ ના ડીન ડો. નંદીની દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
આ સમિતિ દ્વારા આશરે 70 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતાં, પરંતુ એક પણ વ્યક્તિ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહતી. એટલે કે ઊઠેલી ફરિયાદમાં કોઈ તથ્ય જણાયું ન હતું. જે અહેવાલ આરોગ્ય વિભાગના અધિકારી નિયામકને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. ત્યારે અહીં સવાલ એવો ઊભો થાય છે કે આવો કોઈ બનાવ બન્યો છે કે કેમ ? અન્યથા આવા આક્ષેપો કોણે વહેતા કર્યા હતા? હવે કદાચ એવું પણ બને કે આવા આક્ષેપો વહેતા કરનાર ને શોધી કાઢવામાં આવે, અને તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહી.

