Site icon Gujarat Mirror

અમદાવાદમાં 26મીએ રમાનાર ચેન્નાઇ-ગુજરાતની મેચ હવે 21મીએ રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝનમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. 26 એપ્રિલ 2026 ના રોજ અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાનારી મેચના સમયપત્રકમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બંને ટીમો 26 એપ્રિલની જગ્યાએ 21 મેના રોજ ટકરાશે.

BCCI ના અગાઉના શેડ્યૂલ મુજબ, ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ 26 એપ્રિલે બપોરે 3:30 વાગ્યે અમદાવાદના સ્ટેડિયમમાં રમાવાની હતી. પરંતુ હવે આ ફેરફાર બાદ, 26 એપ્રિલે આ બંને ટીમો ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમશે. એટલે કે, રિવર્સ ફિક્સ્ચર મુજબ બંને ટીમો વચ્ચેની બીજી મેચ હવે 21 મેના રોજ સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારનું મુખ્ય કારણ ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ છે.

જ્યારે BCCI એ અગાઉ IPL 2026 ની સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, ત્યારે તેમાં માત્ર શરૂૂઆતની 20 મેચોનો જ સમાવેશ થતો હતો. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં અલગ-અલગ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી, તેને ધ્યાનમાં રાખીને જ BCCI એ બાકીની મેચોનું શેડ્યૂલ ગોઠવ્યું હતું.

આ સીઝનમાં અત્યાર સુધીના બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો, ગુજરાત અને ચેન્નાઈ બંનેનું ફોર્મ કોઈ ખાસ રહ્યું નથી. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી રમેલી 4 મેચમાંથી 2 માં જીત અને 2 માં હારનો સામનો કર્યો છે. બીજી બાજુ, ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી; તેઓ તેમની પહેલી 3 મેચ સળંગ હારી ગયા હતા અને છેલ્લે ચોથી મેચ જીતીને આ સિઝનમાં માંડ પોતાનું ખાતું ખોલાવ્યું છે.

Exit mobile version