Site icon Gujarat Mirror

રાજકોટ શહેર અધિક પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ચૈતન્ય માંડલીક

2011 બેચના આઈપીએસ ચૈતન્ય માંડલીક રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની જગ્યાએ ફરજ બજાવી ચૂકયા છે

ગુજરાત પોલીસના 47 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજકોટના અધિક પોલીસ કમિશ્નર તરીકે 2011 બેચના આઈપીએસ ચૈતન્ય માંડલીકને પોસ્ટીંગ અપાયા બાદ આજે ચૈતન્ય માંડલીકે રાજકોટના નવા અધિક પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની જગ્યાઓ પર પ્રશંસનીય કામગીરી કરનાર સ્વચ્છ અને કડક હાથે કામ લેવાથી ટેવાયેલા આઈપીએસ ચૈતન્ય માંડલીકને રાજકોટ અધિક પોલીસ કમિશનર તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે.

આજે આઈપીએસ ચૈતન્ય માંડલીકે ચાર્જ સંભાળતા પૂર્વે સર્કીટ હાઉસ ખાતે ટૂંકુ રોકાણ કર્યુ હતું. ત્યારે તેમના સ્વાગત માટે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફીક હરપાલસિંહ જાડેજા, ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આઈપીએસ ચૈતન્ય માંડલીકે પોતાના ફરજકાળ દરમિયાન અનેક મોટા ગુનાઓના ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે. સોફટવેર એન્જીનીયર તરીકેની ડિગ્રી ધરાવતા આઈપીએસ ચૈતન્ય માંડલીકે ફરજ કાળ દરમિયાન દુષ્કર્મ કેસના આરોપીને સજા થાય તેવી કાર્યવાહી કરી હતી.

તેમજ અમદાવાદમાં રેવડી બજારમાં લાગેલી આગ સામાન્ય નહીં પણ પાકિસ્તાન કનેકશન હોવાનું જે તે વખતે સોંધી કાઢયું હતું. અગાઉ રાજકોટ ગ્રામ્યમાં એએસપી તરીકે પ્રોબેશન અધિકારી તરીકે ફરજ બજાવનાર આઈપીએસ અધિકારી ચૈતન્ય માંડલીકે જે તે વખતે કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને એક કરોડના દારૂ સાથે ઝડપી લઈ સૌરાષ્ટ્રમાં તેનું દારૂનું નેટવર્ક તોડી નાખ્યું હતું. રાજકોટનાં અધિક પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર ચૈતન્ય માંડલીકના પોસ્ટીંગથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version