બાઇક રેલી યોજીને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવા જતાં ચક્કાજામના દૃશ્ય સર્જાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવાઈ રહ્યો છે, અને શહેરમાં ઘાસચારાનું વેચાણ બંધ કરાવ્યું છે સાથોસાથ ઘાસ ના વિક્રેતાઓનો ઘાસનો જથ્થો દિન પ્રતિ દિન જપ્ત કરી લેવામાં આવે છે, જેને લઈને શહેરી વિસ્તારમાં માલધારીઓના ઘાસચારાના પ્રશ્ને ભારે તંગી સર્જાઈ છે, અને પશુઓને ઘાસચારો મળતો નથી, તેને લઈને આજે માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.
શહેરી વિસ્તારમાં પશુઓને દૂર કરવા માટેના અદાલતના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા માલધારી સમાજને એક સપ્તાહનું અલ્ટીમેટમ અપાયું હતું, જેની સમય મર્યાદા આજે પૂર્ણ થઈ હોવાથી જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં માલધારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયો હતો, અને રેલી યોજી હતી.જેમાં અનેક માલધારી યુવાનો જોડાયા હતા જેથી શહેરમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાપોતાના માલ ઢોરને શહેરની બહાર નહીં ખસેડવા તેમજ તેઓનો ઘાસચારો બંધ નહીં કરાવવા વગેરે મુદ્દે માલધારી સમાજ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી રહી છે. માલધારી સમાજના આ વિરોધ પ્રદર્શનને લઈને સાત રસ્તા સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, અને ટ્રાફિક પોલીસ સહિતની અલગ અલગ પોલીસ ટુકડી ને ભારે કવાયત કરવી પડી હતી.

