Site icon Gujarat Mirror

સુરતમાં ઉદ્યોગપતિની નવપરિણીત પુત્રવધૂએ ફાંસો ખાઇ કરેલો આપઘાત

સુરતના સુભાષનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં આપઘાત કરી લીધો છે. સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું.

નવાઈની વાત એ છે કે, આજે જ ખ્યાતિના લગ્નને બરાબર બે મહિના પૂર્ણ થયા હતા અને તે જ દિવસે તેણે મોતને વ્હાલું કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ખ્યાતિનો પરિવાર પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે સધ્ધર છે. જોકે, ઘટનાસ્થળેથી પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

સુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય ખ્યાતિ અભિષેક કેજરીવાલ નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ઓફિસનો સ્ટાફ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉમરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version