ધ્રાંગધ્રામાં દફનાવેલા બાળકની લાશ 15 દિવસે બહાર કઢાઈ, પાણીમાં ડૂબી જવાથી મોત કે હત્યા? રહસ્ય ઉકેલવા ફોરેન્સિક તપાસ શરૂૂ થતા ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં 15 દિવસ પહેલા બનેલી એક ઘટનાએ હવે નવો વળાંક લીધો છે.
ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં 15 દિવસ પહેલા બનેલી એક ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. 4 વર્ષીય માસૂમ બાળક કાર્તિક ફારુકભાઈ એસવાડિયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા બાદ, તેની હત્યા થઈ હોવાની આશંકા સેવાતા પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ધ્રાંગધ્રા સીટી પી.આઈ. અને મામલતદારની પ્રત્યક્ષ હાજરીમાં બાળકની લાશને કબ્રસ્તાનમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ઘટનાની વિગત એવી છે કે 15 દિવસ પહેલા કાર્તિકનું મોત પાણીના ટાંકામાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું હતું અને તે સમયે પરિવારે તેને દફનાવી દીધો હતો. જોકે, ત્યારબાદ આ મોત અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા પ્રબળ બનતા પોલીસ હરકતમાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આજે કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢી ઊંડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બાળકની લાશને હાલમાં રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. મેડિકલ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે બાળકનું મોત ખરેખર પાણીમાં ડૂબી જવાથી થયું હતું કે પછી તેની હત્યા કરીને ટાંકામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

