કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની મુલાકાત સમયે જ અટકચાળો, બે માસમાં બીજી ઘટના
રાજકોટમાં ગત રાત્રે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રેસકોર્ષ ખાતે ચાલી રહેલ જળકથામાં હાજરી આપવા આવ્યા હતા તે સમયે જ રેસકોર્ષથી માત્ર 200 મીટર દૂર આવેલા શારદાબાગમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં વડાપ્રધાન મોદીની તસવીર પર કાળીશાળી લગાડવામાં આવતા ભારે ચકચાર જાગી છે..
મળતી માહિતી મુજબ નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની તસવીર વાળા પોસ્ટરમાં વડાપ્રધાન મોદીના ફોટા ઉપર ગત રાત્રે અજાણયા શખ્સોએ કાળી શાહી લગાડી રાજકોટમાં આગામી તા.10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ પૂર્વે માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાનુ મનાય છે.
વડાપ્રધાન મોદી પોતે રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપનાર છે. તે પૂર્વે બનેલી આ ઘટનાને પોલીસે પણ ગંભીરતાથી લીધી છે અને સીસીટીવીના આધારે આ કૃત્ય કરનાર શખ્સોની શોધખોળ આદરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તા.15 ઓક્ટોબરે ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે પણ બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા બેનરમાં પી.એમ.મોદીના ફોટા ઉપર અજાણયા શખ્સે કાળીશાળી લગાવી હતી. બે માસમાં આવી બે ઘટના બનતા હવે પોલીસ દોડતી થઇ છે.

