દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી રહી છે. આમાં સંદીપ દીક્ષિત અને ફરહાદ સૂરી મુખ્ય છે, જેમને ભાજપ તરફથી કરોડો રૂૂપિયાનું ફંડ મળી રહ્યું છે. જો તેઓ વિચારે છે કે અમે રાષ્ટ્રવિરોધી છીએ તો લોકસભામાં અમારી સાથે ગઠબંધન કરીને ચૂંટણી કેમ લડ્યા, કેજરીવાલ સાથે પ્રચાર કેમ કર્યો?
તેમણે કહ્યું, આપને હરાવવા અને ભાજપને જીતાડવા માટે કોંગ્રેસે મિલીભગત કરી છે.
જો એવું ન હોય તો કોંગ્રેસે 24 કલાકની અંદર અજય માકન વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ, મારી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરનાર યૂથ કોંગ્રેસ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ પગલા નહીં લે તો અમે કોંગ્રેસને ઇન્ડીયા બ્લોકમાં સાથે રાખવા માગતા નથી. આ મામલે અમે અન્ય પક્ષો સાથે વાતચીત કરીશું.
દરમિયાન આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી બીજેપીની તરફેણમાં ઉભી છે અને ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય તે બધું કરી રહી છે. કોંગ્રેસના નેતા અજય માકને બીજેપીની સ્ક્રિપ્ટ વાંચી છે. ગઈકાલે તેમણે હદ વટાવીને અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રવિરોધી કહ્યા, અજય માકને બીજેપીના કોઈ નેતાને રાષ્ટ્રવિરોધી કહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે આપ નેતાઓ કોંગ્રેસના નેતાઓના સતત નિવેદનોથી નારાજ છે. એક દિવસ પહેલા જ દિલ્હી યુથ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. વાસ્તવમાં, દિલ્હી યુથ કોંગ્રેસના અધ્યક્ષ અક્ષય લાકરાએ 25 ડિસેમ્બરની સાંજે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાકરાએ આરોપ લગાવ્યો હતો કે આપએ તેની યોજનાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને છેતર્યા છે.

