વોર્ડ 2ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગુજરાત મિરરની મુલાકાતે : પ્રજા પાસે જ્ઞાતિ આધારિત નહીં પરંતુ કામ કરવા મુદ્દે મત માંગશે
આમ આદમી પાર્ટી હાલ ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે મેદાને ઉતરી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ 2ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચિંતન દવે, હંસાબેન ધમ્મર, હેતલબેન મકવાણા તથા વોર્ડ બેના સંયોજક પદ્મિનીબા વાળા ગુજરાત મીરરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુંડારાજ હટાવવા, સામાન્ય માણસને ન્યાય અપાવવા અને આમ જનતાને સાંભળનારી પાર્ટી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે વોર્ડ નંબર 2 માં રઘુવંશી સમાજ અને બ્રહ્મ સમાજને ટિકિટ ન આપી જે પ્રશ્નો ઊભા કર્યા છે તેનું નિરાકરણ એકમાત્ર આમ આદમી પાર્ટી જ છે.
કારણ કે ભાજપ માત્ર ને માત્ર ગુંડાઓને ટિકિટ આપે છે તેવું પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું. માત્ર વોર્ડ 2 જ નહીં પરંતુ તમામ 18 વોર્ડ માંથી ભાજપની હકાલપટ્ટી કરવામાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. હાલ આ વોર્ડમાં રોડ રસ્તા, ગટરની સુવિધાનો અભાવ છે અને લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સામાન્ય લોકો હાલ સત્તાધારી પાર્ટી થી બિલકુલ ના ખુશ છે તેવું વોર્ડ 2ના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જણાવ્યું હતું. ઉપસ્થિત ઉમેદવારોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટી એ લોકો માટેના કામ કર્યા છે તેવી જ રીતે અહીં સ્થાનિક સ્તરે પણ સામાન્ય લોકોનો અવાજ આમ આદમી પાર્ટી બનશે.
સશક્ત મહિલાઓને પ્રતિમાસ 1,000 રૂૂપિયા તથા વંચિત અને અશક્ત મહિલાઓને 1500 રૂૂપિયા પ્રતિમાસ આમ આદમી પાર્ટી આપશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ જ્ઞાતિ આધારિત મત નહીં માંગે પરંતુ કામ મુદ્દે મત માંગશે. અંતમાં તેઓએ ભાજપ પક્ષ પર આક્ષેપો કર્યા હતા કે તેમના વોર્ડ બે ના ચોથા ઉમેદવારને ગુમ કરી દીધા છે તેઓ લઘુમતી સમાજથી આવતા હતા ત્યારે તેમના બદલે જ્યારે આમ આદમી પાર્ટી એ માલધારી સમાજના યુવાનને ટિકિટ આપી તો વહીવટી વિભાગે માત્ર એક કલાકની અંદર જ તેમનું ફોર્મ રદ કરી દીધું હતું. જેનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટી થી ડરી રહ્યું છે.

