ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે રોજિંદા મુસાફરી કરતાં મુસાફરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘દૈનિક મુસાફર પાસ યોજના’માં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર હવે મુસાફરોને પાસમાં 50 ટકા સુધીની ભાડા રાહત મળશે. અગાઉ માસિક પાસ માટે 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જ્યારે હવે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવીને આખા 30 દિવસ સુધી મુસાફરી કરી શકાશે.
એ જ રીતે, ત્રિમાસિક પાસ માટે અગાઉ 54 દિવસનું ભાડું લેવામાં આવતું હતું. હવે મુસાફરો માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને સતત 90 દિવસ સુધી મુસાફરીનો લાભ મેળવી શકશે.
નિગમના આ પ્રજાલક્ષી નિર્ણયથી રાજ્યમાં રોજિંદી મુસાફરી કરતા આશરે 2.5 લાખથી વધુ નોકરિયાતો અને નાના-મોટા વેપારીઓને સીધો આર્થિક લાભ મળશે. આ નિર્ણયથી મુસાફરોના માસિક મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે અને વધુમાં વધુ લોકો સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર ST બસ સેવાનો લાભ લે તે માટે પ્રોત્સાહન મળશે.

