Site icon Gujarat Mirror

સરકારી વિશ્રામગૃહોના રાજકીય ઉપયોગ પર પ્રતિબંધ

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાના ભાગરૂૂપે જિલ્લામાં આવેલા તમામ સરકારી અને અર્ધસરકારી વિશ્રામગૃહો તેમજ અતિથિગૃહોના રાજકીય હેતુ માટે ઉપયોગ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ઓમ પ્રકાશ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને તા. 30 એપ્રિલ સુધી કોઈ પણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના એજન્ટો સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ કે સરકારી રહેણાંકો કે તેના આંગણનો ઉપયોગ ચૂંટણી પ્રચાર કે મીટિંગ માટે કરી શકશે નહીં. આ સ્થળો પર રાજકીય પક્ષોના સભ્યોની મિટિંગ પણ યોજી નહીં શકાય કે રાજકીય હેતુસર ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ પાર્કિંગ નહીં કરી શકાય.

મતદાન પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈ પણ મહાનુભાવોને આ સ્થળોએ રૂૂમ ફાળવવા પર પણ પ્રતિબંધ રહેશે. માત્ર ’ઝેડ’ કક્ષાની સુરક્ષા ધરાવતા પદાધિકારીઓને જ અમુક શરતોને આધીન છૂટછાટ આપવામાં આવશે. જો કે તેઓ આ સ્થળોએ રાજકીય પ્રવૃત્તિઓ કરી શકશે નહીં. આ હુકમ સમગ્ર રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા. 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે.

Exit mobile version