રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 ના 9 જેટલા અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. આ ફેરબદલમાં સૌથી મહત્વનો નિર્ણય રાજકોટ શહેર માટે લેવાયો છે, જ્યાં પુરવઠા તંત્રને વધુ વેગવંતું બનાવવા માટે નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ કલેક્ટર કચેરીમાં અત્યાર સુધી ડેપ્યુટી કલેક્ટર (પ્રોટોકોલ) તરીકે ફરજ બજાવતા સુશીલ પરમારની બદલી કરવામાં આવી છે. તેમને હવે રાજકોટ શહેરના પુરવઠા અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
જયારે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે આશિષ ઝાંપડા પોતાની સેવાઓ ચાલુ રાખશે. રાજકોટ શહેરના પૂર્વ પુરવઠા અધિકારી ઇલાબેન ગોહેલ હવે રાજકોટ પુરવઠા ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે.આમ, નવા ફેરફારો સાથે હવે રાજકોટમાં પુરવઠા વિભાગમાં હવે ત્રણ મુખ્ય અધિકારીઓના ફરજ બજાવશે, આવવાની અપેક્ષા છે.
મહેસૂલ વિભાગની આ અધિસૂચના મુજબ રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાં પણ પુરવઠા અધિકારીઓની નિમણૂકો કરવામાં આવી છે જેમાં ડો. રીના એન. ચૌધરી (નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી) ને હવે ભાવનગરના જિલ્લા પુરવઠા અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. ભવ્યકુમાર નિનામાને પાલનપુર (બનાસકાંઠા) ના જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ છે.કુમારી શિવાંગીબેન જે. શાહને સુરત (શહેર) ના જિલ્લા પુરવઠા અધિકારી બનાવવામાં આવ્યા છે.કુમારી સિદ્ધિ ડી. વર્મા હવે વડોદરા (શહેર) ના જિલ્લા પુરવઠા અધિકારી તરીકે સેવા આપશે.
આ ઉપરાંત મહેસૂલ વિભાગે નર્મદા, ડાંગ અને પાટણ જિલ્લાના અધિકારીઓની પણ બદલી કરીને તેમને વિવિધ જિલ્લાઓમાં પુરવઠા અધિકારી તરીકે નિમણૂક આપી છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાએ કાર્યભાર સંભાળવા આદેશ આપવામાં આવ્યો છે.
