અમદાવાદના ચંડોળા તળાવ પર આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઈસનપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટીમો 3 હજાર પોલીસ કર્મચારીઓ સાથે આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરશે. અસરગ્રસ્તોને ખસદેવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બીજા તબક્કામાં 8 હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે. જેના કારણે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 4 હજાર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી હતી.
ગઇકાલે રાત્રે અંતિમ કલાકોમાં રાતના અંધારામાં લોકો પોતાના ઘર ખાલી કરતા જોવા મળ્યા હતા. AMCએ સોમવારે બપોરે જ આ વિસ્તારમાં માઈક ફેરવી લોકોને ઘર ખાલી કરી દેવા ચેતવણી આપી હતી. મોડી સાંજે અને રાત્રીના સમયે ઘરમાંથી પોતાનો સામાન બહાર કાઢી વાહનોમાં લઈ રવાના થતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડિમોલીશન કામગીરી માટે રાત્રિના સમયે જ અહીં જેસીબી સહિતના વાહનોની કતારો લાગી હતી.

