Site icon Gujarat Mirror

અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન

 

અંબાણી પરિવાર એ ભગવાન દ્વારકાધીશીજીની ધ્જાજીનુ પુજન વિધી કરી દ્વારકાધીશ ના પાદુકા પૂજન દર્શન કરી ધન્યતા અનુભવી સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાળ્ય પરિવારના સુપુત્ર શ્રી અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની 114 કિ.મી.ની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન થઈ છે. આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી.

દ્વારકા ખાતેના સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદામઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના નેતૃત્ત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજો, હોટેલ એસોસિયેશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ એક બેઠક યોજીને પદયાત્રાના આગમન પૂર્વે શ્રી અનંત અંબાણીના ભવ્યાતિભવ્ય સ્વાગતની રૂૂપરેખા ઘડી કાઢી હતી.

અનંત તેમના માતા નિતાબેન અને રાધિકા અંબાણીએ પદ યાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું. તથા શારદાપીઠ ખાતે શ્રી પાદૂકા પૂજનનો લાભ લીધો હતો. નારાયણાનંદજીના આશીર્વચન મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા તેઓનું અભિવાદન કરાયું હતું.છેલ્લા દસ દિવસોથી ચાલી રહેલી શ્રી અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહૂતિને ઉજવવા દ્વારકાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દૂરદૂરથી જગતમંદિરને નિહાળી શકાય તે માટે મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસર ઉપરાંત ગર્ભગૃહની આકર્ષક અને સુગંધીદાર પૂષ્પો વડે નયનરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પદયાત્રાના વધામણા કરતા રબારી- માલધારી સમાજના લોકોએ કાળિયા ઠાકરના ભક્ત શ્રી અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિવિધાનથી સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીના સ્વાગતમાં દૂરદૂરથી હાથી-ઘોડા લાવીને તેની અનેરી સજાવટ કરીને પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી હતી. આ પ્રસંગે 400થી ઋષિકુમારો તથા 250થી વધુ ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતા મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા. દ્વારકા નગરને જુદાજુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદભુત પ્રદર્શન થકી શોભાવી હતી.

Exit mobile version