રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરની જનતા બેવડી મુસીબતમાં ફસાઈ છે. એકબાજુ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે બીજી બાજુ PGVCL દ્વારા મેન્ટેનન્સના બહાને અવારનવાર કરવામાં આવતા વીજકાપે લોકોની હાલત કફોડી કરી દીધી છે. ખાસ કરીને પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ માટે આ વીજકાપ આફત સમાન સાબિત થઈ રહ્યો છે.
યાત્રાધામ વીરપુર કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે આવે છે, ત્યાં હાલ હાડ અને ચામડી દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે આવા કપરા સમયે લોકોને પંખા અને એસીની જરૂૂર હોય છે, પરંતુ PGVCL વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેમ મેન્ટેનન્સના નામે અઠવાડિયામાં 3 થી 4 દિવસ કલાકો સુધી વીજળી ગુલ કરી દેવામાં આવે છે,જેમને લઈને યાત્રિકો તેમજ લોકો ગરમીથી અકળાય રહ્યા છે,
સૌથી વધુ માઠી અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે. હાલ ધોરણ 1 થી 11 ની વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. એક તરફ પરીક્ષાનું ટેન્શન અને બીજી તરફ પરીક્ષા કક્ષમાં અસહ્ય બફારો. વીજળી ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે વિદ્યાર્થીઓ પેપર વાંચી શકતા નથી કે આરામથી પરિક્ષા આપી શકતા નથી.વીજકાપ હોવાના કારણે નાના ભૂલકાઓને પણ સ્કૂલની લોભીમ કે બહાર મેદાનમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા છે ,PGVCLની આ નીતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે, માત્ર રહેણાંક વિસ્તાર જ નહીં, પણ વીરપુરના સ્થાનિક નાના લઘુ ઉદ્યોગો પણ પાયમાલ થઈ રહ્યા છે. ઠંડા પીણાં, આઈસ્ક્રીમ પાર્લર અને ખાણી-પીણીના વેપારીઓનો માલ વીજળીના અભાવે બગડી રહ્યો છે. વારંવારના પાવર કટથી મશીનરીઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે મેન્ટેન્સના નામે વિજકાપ કરીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે.

