ગુનો કરવો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી એ એક સામાન્ય પ્રક્રિયા છે. જોકે, ભારતીય કાયદામાં તાજેતરમાં થયેલા બદલાવ અંતર્ગત હવે ચોરીના નાના કિસ્સાઓમાં પોલીસની કાર્યવાહી અંગે એક મહત્વનો નિયમ આવ્યો છે. નવી લાગુ કરાયેલી ભારતીય ન્યાય સંહિતા હેઠળ, અમુક રકમથી ઓછી ચોરીના કિસ્સામાં પોલીસની ભૂમિકા મર્યાદિત કરી દેવામાં આવી છે.
ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ એક નવી જોગવાઈ કરવામાં આવી છે. આ કલમ મુજબ, જો કોઈ ચોરીનો કિસ્સો ₹5,000 થી ઓછી રકમનો હોય, તો પોલીસ સીધી રીતે કોઈ કાર્યવાહી કરશે નહીં. આવા કિસ્સાઓમાં પોલીસ એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલ) પણ નોંધશે નહીં. તેનો અર્થ એ થયો કે જો તમારી સાથે ₹5,000 થી ઓછી કિંમતની ચોરી થાય અને તમે પોલીસ સ્ટેશન જાઓ, તો શક્ય છે કે પોલીસ તમને ત્યાંથી પાછા મોકલી દે.
આવી નાની ચોરીને નવા કાયદા હેઠળ બિન-દખલપાત્ર ગુનાની શ્રેણીમાં મૂકવામાં આવી છે. એટલે કે, આટલી નાની ચોરી માટે પોલીસ કોર્ટના આદેશ વિના જાતે ધરપકડ કરી શકશે નહીં કે તપાસ શરૂૂ કરી શકશે નહીં.
તાજેતરમાં મધ્યપ્રદેશમાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક વ્યક્તિએ ₹125ના રસગુલ્લાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ નવા કાયદાને ટાંકીને આ કેસ રદ કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
જો તમારી સાથે પણ ₹5,000 થી ઓછી રકમની ચોરી થાય અને પોલીસ આ મામલે સીધી કાર્યવાહી ન કરે, તો તમારી પાસે કાયદેસર વિકલ્પ ઉપલબ્ધ છે. તમે કોર્ટ (ખાનગી ફરિયાદ)માં જઈ શકો છો. એટલે કે, તમે સીધા મેજિસ્ટ્રેટ કોર્ટમાં જઈને ચોરી અંગે ફરિયાદ દાખલ કરી શકો છો.
જો કોર્ટ તમારી ફરિયાદની ગંભીરતા જોઈને યોગ્ય માને, તો તે પોલીસને આ મામલે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે. કોર્ટના આદેશ બાદ પોલીસ માટે કાર્યવાહી કરવી ફરજિયાત બની જાય છે.
₹5,000 થી ઓછી રકમની ચોરીના કિસ્સાઓમાં, આરોપીને સજા અંગે પણ અલગ જોગવાઈ છે. કોર્ટ આરોપીને ચોરાયેલી મિલકત પરત કરવાનો અથવા તેના નુકસાનની ભરપાઈ કરવાનો વિકલ્પ આપી શકે છે. આવા કેસમાં કોર્ટ તેને જેલની સજા ન પણ આપી શકે. તેના બદલે, આરોપીને સમુદાય સેવા કરવાનો આદેશ આપી શકાય છે, જે ગુનાની ગંભીરતા અને પરિસ્થિતિ પર આધાર રાખે છે.

