Site icon Gujarat Mirror

કમિશનર બાદ પદાધિકારીઓ ગુણવત્તા ચકાસવા દોડ્યા

રોડ-રસ્તાના કામોની ચકાસણી માટે સરકારે કમિટી બનાવ્યા બાદ અધિકારીઓ-પદાધિકારીઓમાં દોડાદોડી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા રોડ-રસ્તાના કામોની ગુણવતા ચકાસવા માટે રાજ્ય સરકારે ચાર ઇજનેરોની ટીમ નિમ્યા બાદ હાલ ચાલી રહેલા રસ્તાના કામોની ચકાસણી માટે અધિકારીઓ બાદ પદાધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે અને ગત શનિવારે મ્યુનિ.કમિશનર પોતે જ ડામર અને રોડ-રસ્તાના કામોની ગુણવતા ચકાસવા માટે ચારેય ઝોનમાં રૂબરૂ પહોંચ્યા બાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ પણ વોર્ડ નં.2માં ફેરણી કરી રોડ-રસ્તાની ‘ગુણવતા’ ચકાસી હતી.

જો કે, ઇજનેરોના બદલે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ રસ્તાના કામની ગુણવતા કઇ રીતે ચકાસી તે અંગે કોઇ રિપોર્ટ જાહેર કરાયો નથી. પરંતુ મહદઅંશે પદાધિકારીઓનું ફોટોસેશન હોય તેવુ જણાતુ હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.2માં ચાલતા ડામર કામની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા ધારાસભ્ય દ્વારા શનિવારના રોજ સ્થળ મુલાકાત કરવામાં આવેલ. આ સ્થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનિષભાઈ રાડીયા, લગત અધિકારી-કર્મચારીઓ સ્થળ પર હાજર રહેલ.

આ સ્થળ મુલાકાતમાં ડામર કામની સારી ગુણવતા જાળવીને કામ સમયસર પૂર્ણ કરવા વગેરે તમામ બાબતોની પદાધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને એજન્સીઓ સાથે જરૂૂરી ચર્ચા કરવામાં આવેલ.

Exit mobile version