મોરબી મનપાની ચૂંટણીમાં ભાજપથી ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહેલા પાર્ટીના પૂર્વ નેતા દેવા અવાડિયા ખૂબ જ નારાજ છે. તેમણે નામ લીધા વગર ગુજરાત સરકારના મંત્રી અને મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિશે વિવાદાસ્પદ નિવેદન કરતા ખળભળાટ મચી ગયો છે.
નેતા દેવા અવાડિયાએ નામ લીધા વિના ટિકીટ કાપનાર માટે ભગવાનને પ્રાર્થના કરી છે. 3 મહિના અને એકવીસ દિવસ બાદ ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તેના ફોટાને હું બરાબર 111 દિવસે પગે લાગવા જઈશ. આવું નિવેદન કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.
ભાજપે ટિકીટ કાપ્યા પછી દેવા અવાડિયાએ પુત્ર અમિત અને બીજા 2 સમર્થકો સાથે પાલિકાની વોર્ડ નં 1માં અપક્ષ પેનલ ઉતારીને સૌકોઇને ચૌંકાવી દિધા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની ટિકીટ કપાઈ હોવાની લાગણી સાથે નામ લીધા વગર જ આવું નિવેદન આપ્યું હતું. દેવા અવાડિયાના નિવેદનની સામે રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ પણ આકરી પ્રતિક્રિયા આપી કે, હિંમત હોય તો સામી છાતીએ લડો.
મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરિયાની ટિકટ કપાતા તેમણે પણ કાંતિ અમૃતિયા સામે આક્ષેપ કર્યા હતા. ઉપરાંત તેમણે પણ અપક્ષ દાવેદારી નોંધાવી હતી. જેના કિસ્સામાં કાંતિ અમૃતિયાએ જે લોકોને ટિકિટ ન મળી તેમની માફી માંગી હતી.

