2018માં ડબલ મર્ડર કર્યા હતાં : આરોપીએ કહ્યું, બે મર્ડર કરેલા છે ત્રીજુ કરતા વાર નહીં લાગે, સમાધાન કરી લે
કાંગસીયાળી રોડ પર રસુલપરા પાછળ બજંરંગ સોસાયટી મેઈન રોડ પર રહેતાં અને ઢોલેરા ચોકડી પાસે મોમાઈ કાર નામે ગાડીનું સર્વિસ સ્ટેશન ચલાવતા લક્ષ્મણભાઈ જેસિંગભાઈ શિયાળીયા (ઉ.વ.27)ને તેના પિતા અને કાકાના મર્ડરમાં સંડોવાયેલા અને હાલ જામીન ઉપર રહેલાં કૌટુંબિક સગા ભરત મેલાભાઈ શિયાળીયા (રહે. ગોપાલ નગર, માલધારી ફાટક પાસે)એ તુ સમાધાન નથી કરતો આથી તને પતાવી દેવો છે.બે મર્ડર કરેલ છે ત્રીજુ કરતા વાર નહીં લાગે કહીં ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
લક્ષ્મણભાઈએ પોલીસને જણાવ્યું કે, તેના પિતા જેસિંગભાઈનું 2018માં મૃત્યુ થયું છે. 2018માં તેના પિતા, મોટાબાપુનો પુત્ર મીઠાભાઈ ઢોલરા ચોકડીએ લીલાનો થડો રાખી ભાગીદારીમાં ધંધો કરતા હતા. તેના ધંધાની નજીકમાં તેના કૌટુંબીક ભાઇ મેલા વરજાંગભાઈ શિયાળીયા, તેના ભાઈ નવઘણે પણ નજીકમાં લીલુ વેચવાનો થડો ચાલુ કર્યો હતો. જ્યાં મેલાનાં બંને પુત્ર વિશાલ ઉર્ફે લાલો અને ભરત બેસતા હતા.
ધંધાની હરિફાઈના કારણે તેઓ અવારનવાર તેમની પાસેથી નીકળતા ત્યારે સામુ જોયા કરતા હતા અને જેમતેમ બોલતા જતા હતા. ગઈ તા.8-4-2018નાં તે, તેના પિતા જેસિંગભાઈ, કાકા વેજાભાઇ અને મોટાબાપુનો દિકરો મીઠાભાઇ લીલુ ઉતારતા હતા ત્યારે ધસી આવેલા મેલા,નવઘણ અને મેલાનાં બંને પુત્રો વિશાલ અને ભરત ઝઘડો કરી હથિયારોથી હુમલો કરતાં તેના પિતા અને કાકાને ગંભીર ઈજા થતાં બંનેના મૃત્યુ નિપજ્યાં હતા. આ કેસમાં ચારેય જેલમાં હતા. આરોપી ભરતની ઉમર નાની હોવાથી થોડા સમય પછી તેને જામીન મળી ગયા હતા.વિશાલને 2019માં જામીન મળ્યા હતા. 2022માં નવઘણ પેરોલ પર છુટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જ્યારે 2024માં મેલને જામીન મળ્યા હતા.
હાલ આ કેસ કોર્ટમાં ચાલુ છે. અને તે તેની મુદ્દતે જાય છે. તેનો ખાર રાખી અવારનવાર સમાધાન માટે ધમકાવાતો હતો. ગઈ તા. 1નાં તે તેના સર્વિસ સ્ટેશન પાસે હતા ત્યારે આરોપી ભરત બાઇક લઈને ધસી આવ્યો હતો. અને તેને તને બહું પાણી ચડી ગયું છે તુ સમાધાન નથી કરતો આથી તને પતાવી દેવો છે બે મર્ડર કરેલાં છે તારુ ત્રીજુ કરતા વાર નહીં લાગે કહીં ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.
