Site icon Gujarat Mirror

પંજાબમાં AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

 

લુધિયાણા પશ્ચિમના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીનું ગઈ કાલે મોડી રાત્રે ગોળી વાગવાથી મોત થયું હતું. તેને ગંભીર હાલતમાં ડીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોગી તેની લાઇસન્સવાળી પિસ્તોલ ઘરે સાફ કરતા હતા. આ દરમિયાન અચાનક ગોળી વાગી હતી. ગોળી માથામાંથી આરપાર નીકળી ગઈ હતી.

ધારાસભ્ય ગોગી એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફર્યા હતા અને તેમના રૂમમાં ભોજન કરી રહ્યા હતા. એટલામાં ગોળીનો અવાજ આવ્યો. જ્યારે તેમની પત્ની ડો.સુખચૈન કૌર ગોગી રૂમમાં પહોંચી ત્યારે ગોગી લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તેને તાત્કાલિક લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. તેણે પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી ગોળી મારી હતી.

એડીસીપી જસકરણ સિંહ તેજાએ જણાવ્યું કે પિસ્તોલ 25 બોરની હતી. ધારાસભ્યનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે કહેવું વહેલું છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

ફાયરિંગના કારણોની હજુ સુધી પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે તે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક ગોળી વાગી હતી. આ વાતની જાણ થતા જ પોલીસ કમિશનર, ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ગુરપ્રીત ગોગી કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAPએ તેમને લુધિયાણા પશ્ચિમ મતવિસ્તારમાંથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા અને તેઓ ચૂંટણી જીત્યા. AAPમાં જોડાતા પહેલા ગોગી 23 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા હતા. તેઓ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને ત્રણ વખત કાઉન્સિલર પણ હતા. કોંગ્રેસ સરકાર દરમિયાન તેઓ પંજાબ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ કોર્પોરેશનના ચેરમેન પણ હતા.

તમને જણાવી દઈએ કે ગુરપ્રીત ગોગી વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નામાંકન ભરવા માટે સ્કૂટર પર પહોંચ્યા હતા અને આ અંગે ચર્ચા પણ થઈ હતી. પંજાબ વિધાનસભા 2022ની ચૂંટણીમાં ગુરપ્રીત સિંહ ગોગીએ લુધિયાણા પશ્ચિમથી લગભગ 40 હજાર મત મેળવ્યા હતા.

 

Exit mobile version