જામનગરના મંદિર પરિસરમાં ડાળી કાપી રહેલા યુવકને હેવી વીજ લાઈનનો આંચકો લાગતા યુવક ભડથું થઈને ઝાડ પર જ લટકી ગયો હતો.
જામનગરના ચેમ્બર કોલોની વિસ્તારમાં આવેલા અમરનાથ મહાદેવના મંદિર પરિસરમાં મોડી સાંજે એક દુર્ઘટના સર્જાઈ હતી. મંદિરના પટાંગણમાં આવેલા પીપળાના ઝાડની ડાળી કાપી રહેલા 35 વર્ષીય કિરણ નામના યુવકને 66 કેવીની હેવી વીજ લાઈનમાંથી આંચકો લાગ્યો હતો વીજ આંચકાથી ઝાડમાં આગ લાગી ગઈ અને યુવક ભડથું થઈને ઝાડ પર જ લટકી પડ્યો હતો. આસપાસના લોકોએ યુવકની ચિત્કાર સાંભળીને દેકારો મચાવ્યો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, વીજ તંત્ર અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેટકોના વીજ સ્ટાફે સૌપ્રથમ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કર્યો હતો.
ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે મંદિર પરિસરની આગાસી પર પહોંચીને ઝાડમાં ફસાયેલા યુવકને નીચે ઉતાર્યો. પરંતુ તે સમયે યુવક મૃત્યુ પામી ચૂક્યો હતો. ખંભાળિયાથી આવેલા કિરણ નામના આ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થતાં પરિસરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સિટી સી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.

