મહા મંદીના કારણે અનેક પરિવારોના માળા પિંખાઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટનામાં સોરઠીયા પ્લોટમાં રહેતા યુવાને આર્થિકભીંસ કંટાળી જિલ્લા ગાર્ડન પાસે એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સોરઠીયા પ્લોટમાં રહેતા મહેન્દ્ર શરદભાઈ છીના નામનો 24 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં જિલ્લા ગાર્ડન પાસે હતો ત્યારે એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મહેન્દ્ર છીનાના લગ્ન બે વર્ષ પહેલા થયા છે અને તેને સંતાન નથી મહેન્દ્ર છીના બે ભાઈમાં મોટો છે મહેન્દ્ર છીના આઇસ્ક્રીમ પાર્લરમાં નોકરી કરે છે. પરંતુ આર્થિકભીંસના કારણે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં રાધેશ્યામ ગૌશાળા પાસે રહેતા સંજય મહેશભાઈ સોલંકી નામનો 46 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

