શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે નંદનવન સોસાયટીમાં બે વર્ષથી મૈત્રીકરાર કરીસ્ત્રીમિત્ર સાથે રહેતાં હરિ ધવા માર્ગના પટેલ આધેડ ગત રાતે આ સ્ત્રીમિત્રની બહેનપણી કે જે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર પામ યુનિવર્સમાં પોતાની બે દિકરીઓ સાથે રહે છે તેની ઘરે ગયા હોઇ ત્યાં મોડી રાતે બારમા માળેથી મોતની છલાંગ લગાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પત્નિ-સંતાનો-માતા પિતાને છોડી યુવાન સ્ત્રીમિત્ર સાથે રહી પાણીનો પ્લાન્ટ ચલાવતાં હતાં.
શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મિય કોલેજની સામે, સ્વિમિંગ પુલ પાછળ નંદનવન સોસાયટી શેરી નંબર 1 માં રહેતા નિમેષ પરબતભાઈ ભંડેરી (ઉંમર વર્ષ 42) નામના આધેડે ગંભીર પગલું ભરી જીવનલીલા સંતોષી લેતા ચકચાર મચી ગઈ છે. નિમેષભાઈએ રૈયાગામ સ્મશાન નજીક આવેલી પામ યુનિવર્સ બિલ્ડીંગના 12મા માળેથી નીચે ઝાંપલાવીને અંતિમ પગલું ભરી લીધું હતું. મોડી રાત્રે બનેલી આ કરુણ ઘટનાને પગલે ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી અને બનાવ અંગે સ્થાનિક પોલીસને તુરંત જ જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એચ. એમ. ચાવડા, પીએસઆઇ એ. આઇ. બ્લોચ, ગિરીરાજસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે મૃત્યુ પામનાર નૈમિષભાઇ ભંડેરી આ બિલ્ડીંગના 12 માળે ભાડેથી રહેતાં કાજલબેન નામના મહિલાના ઘરે આવ્યા હતાં. કાજલબેન અહિ પોતાની બે દિકરીઓ સાથે રહે છે. પોલીસે પ્રાથમિક પુછતાછ કરતાં કાજલબેને કહ્યું હતું કે મૃત્યુ પામનાર નૈમિષભાઇ કાલાવડ રોડ નંદનવનમાં તેમનાસ્ત્રી મિત્ર આશાબેન પાડલીયા સાથે બે અઢી વર્ષથી મૈત્રી કરારથી રહે છે. આશાબેન મારા (કાજલબેન)ની સહેલી હોઇ અવાર-નવાર આશાબેન અને નૈમિષભાઇ મારા ઘરે આવતાં જતાં હતાં.
મૃતક નિમેષના અંગત જીવન અંગે મળતી વિગતો મુજબ, તેમના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા અને આ લગ્નજીવન થકી તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. કૌટુંબિક વિવાદના કારણે માતા-પિતાએ નિમેષને છેલ્લા બે વર્ષથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હાલમાં તેમના પત્ની રેખા પોતાના બે બાળકો સાથે સાસુ-સસરાની સાથે જ રહે છે. બીજી તરફ, નિમેષ છેલ્લા અઢી વર્ષથી છૂટાછેડા લીધેલ આશા પાડલીયા નામની મહિલા સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતો હતો.
બનાવના દિવસે નિમેષ આશાના ઘરેથી પામ યુનિવર્સ બિલ્ડીંગમાં રહેતી કાજલ સ્લોતના ઘરે ગયો હતો. કાજલ અને આશા બંને એકબીજાની બહેનપણીઓ હોવાથી નિમેષ અને આશા અવારનવાર કાજલના ઘરે બેસવા માટે જતા હતા. ગઈકાલે રાત્રે જ્યારે નિમેષ કાજલના ઘરે પહોંચ્યો ત્યારે ઘરના તમામ સભ્યોને એમ જ હતું કે નિમેષ રૂૂમમાં સૂઈ ગયો છે. જોકે, મોડી રાત્રે આશરે દોઢ વાગ્યાના સુમારે ગેલેરીમાંથી નીચે કૂદકો મારી આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, નિમેષ છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક ભીંસમાં સપડાયેલો હતો. નાણાકીય મુશ્કેલીઓ અને સતત વધતી આર્થિક તંગીથી કંટાળીને તેણે આ અણધાર્યું પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

