શહેરના કુવાડવા રોડ પર નવાગામ લાલપરી વિસ્તારમાં ઢાળ પાસે રહેતાં પરપ્રાંતિય યુવાને પત્નિ ઝઘડો કરીને જતી રહેવાને કારણે માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે.વધુ વિગતો મુજબ, નવાગામ ઢાળ પાસે લાલપરી વિસ્તારમાં રહેતાં રામબાબુ લાલુરામ કુશવાહા (ઉ.વ.36) નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ 108ના ઇએમટી તબીબ મારફત થતાં બી-ડિવીઝનના પીએસઆઇ સોલંકી, રાઇટર કૈલાસભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપધાત કરનાર રામબાબુ ધૂધરા બનાવી લારી કાઢી વેંચતો હતો. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. પત્નિ ગઇકાલે ઝઘડો કરી રિસામણે જતી રહેતાં માઠુ લાગી જવાથી તેણે આ પગલુ ભરી લીધું હતું. બનાવથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.બીજા બનાવમાં રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટીમાં રહેતા રમીલાબેન કમલેશભાઈ રાવલ(ઉ.36)એ ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી.તેમના પતિ હોસ્પિટલમાં નોકરી કરે છે.તેમના લગ્નને 15 વર્ષ થયાં છે અને સંતાનમાં તેમને બે દીકરા છે.
