ધ્રાંગધ્રા શહેરની ચરમાળિયા સોસાયટીમાં એક બાળકના બૂટમાંથી સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. બાળક બૂટ પહેરવા જતાં તેણે સાપને જોયો અને તરત જ પરિવારને જાણ કરી હતી. પરિવારે સાપને પકડવા માટે જયેશભાઈ ઝાલાનો સંપર્ક કર્યો હતો.
જયેશભાઈ ઝાલાએ સાપનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું અને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના ઉનાળાની શરૂૂઆત સાથે સરિસૃપ જીવોના રહેણાક વિસ્તારોમાં પ્રવેશવાની વધતી ઘટનાઓ દર્શાવે છે.
વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુલદીપભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ઉનાળાની ગરમીને કારણે સાપ સહિતના જીવો ઠંડક મેળવવા માટે રહેણાક વિસ્તારોની આસપાસ છુપાય છે. તેમણે લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, રોજિંદા જીવનમાં ઉપયોગ થતી અને ઘરની બહાર રાખવામાં આવતી ચીજવસ્તુઓને કાળજીપૂર્વક તપાસીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આવા બનાવોથી બચી શકાય.

